પીડિત પરિવારો માટે ઇન્ડિયન ડાયસ્પોરા દ્વારા ફંડ રેઇઝિંગ અભિયાન શરૂ કરાયું

Tuesday 17th June 2025 12:10 EDT
 

લંડનઃ અમદાવાદ પ્લેન ક્રેશનો ભોગ બનેલા યુકેના પીડિત પરિવારો માટે ઇન્ડિયન ડાયસ્પોરાએ લંડનમાં ફંડ રેઇઝિંગ અભિયાનનો પ્રારંભ કર્યો છે. તાજેતરમાં કેન્સરથી પીડિત પત્નીને ગુમાવનાર અર્જુન પટોલિયા પત્નીની ઇચ્છા પ્રમાણે અસ્થિ વિસર્જન કરવા ગુજરાત ગયા હતા પરંતુ પોતે જ જિવિત પરત આવી શક્યા નથી. તેમની 4 અને 8 વર્ષની દીકરીઓ ફક્ત 18 દિવસના અંતરાલમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે. અનાથ બનેલી બંને દીકરીઓ માટે પરિવાર અને મિત્રોએ ઓનલાઇન ગોફંડમી ફંડ રેઇઝરનો પ્રારંભ કર્યો છે. અત્યાર સુધીમાં 5 લાખ પાઉન્ડના લક્ષ્યાંક સામે 50 ટકા ફંડ એકઠું કરી લેવાયું છે.

આવો જ પ્રયાસ નોર્ધમ્પટનના અબ્ધિ પટેલના પરિવાર માટે પણ શરૂ કરાયો છે. અબ્ધિના નિધનથી તેમના પતિ પંકજ અને આઠ વર્ષીય દીકરો મીર પટેલ ઊંડા આઘાતમાં છે ત્યારે મિત્રો અને અન્ય પરિવારજનો દ્વારા ફ્યુનરલ અને અન્ય ખર્ચને પહોંચી વળવા 2000 પાઉન્ડનું ભંડોળ એકઠું કરાયું છે.

કરૂણાંતિકાનો ભોગ બનેલા અકીલ, હાન્ના અને તેમની 4 વર્ષની દીકરીના પરિવારજનોને મદદ કરવા ગ્લુસેસ્ટરશાયરના મુસ્લિમ સમાજ દ્વારા 1000 પાઉન્ડ કરતાં વધુનું ભંડોળ એકઠું કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter