લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી ગાયત્રી ઈસ્સાર કુમારને નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ હાલમાં જ નિવૃત્ત થયેલાં હાઈ કમિશનર રુચિ ઘનશ્યામનું સ્થાન લેશે. હાલ બેલ્જિયમના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળતાં મિસ ગાયત્રી ઈસ્સાર કુમાર ભારતીય વિદેશ સેવાના ૧૯૮૬ની બેચના અધિકારી છે. વિદેશ મંત્રાલયે બીજી જૂન મંગળવારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ ટુંક સમયમાં જ નવી જવાબદારી સંભાળી લેશે.
યુકે શક્તિશાળી યુરોપીય યુનિયન (EU)માંથી બહાર આવી રહ્યું છે ત્યારે ભારત તેની સાથે વેપાર સહિતના સંબંધો વધારવા અને મજબૂત બનાવવા ઉત્સુક છે. આ દિશામાં ભારતીય હાઈ કમિશનરની હાઈ પ્રોફાઈલ પોસ્ટ મિસ કુમાર માટે મહત્ત્વની બની રહેશે. તેમની રાજદ્વારી કારકીર્દી ૩૦ વર્ષમાં પથરાયેલી છે જે ગાળામાં તેમણે પેરિસ, કાઠમાંડુ, લિસ્બન અને જીનિવા સહિતના ભારતીય દૂતાવાસોમાં કામગીરી બજાવી છે. તેમણે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના વડા મથકમાં અમેરિકા ડિવિઝનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ૧૩ જૂન ૨૦૧૭ના રોજ ગાયત્રી ઈસ્સાર કુમારને બેલ્જિયમમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યાં હતાં. તેઓ લક્ઝમબર્ગમાં ગ્રાન્ડ ડચી અને યુરોપીય યુનિયનના રાજદૂત તરીકે પણ કાર્યભાર સંભાળતાં હતાં.
તેમનો જન્મ ૧૯૬૨માં થયો છે અને તેમણે નવી દિલ્હી અને બેંગલોરમાં શિક્ષણ મેળવ્યું છે. બેંગલોર યુનિવર્સિટીના સ્નાતક મિસ ગાયત્રીએ ૧૯૮૬માં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે શ્રી સાચિત કુમાર સાથે લગ્ન કર્યા છે અને તેઓને સંતાનમાં બે દિકરી છે.
નોંધપાત્ર બાબત એ કહી શકાય કે યુકેને બીજાં ભારતીય મહિલા હાઈ કમિશનર મેળવવા ૫૭ વર્ષ રાહ જોવી પડી હતી પરંતુ, ત્રીજા મહિલા કમિશનર માટે જરા પણ રાહ જોવી પડી નથી. યુકેમાં પ્રથમ ભારતીય મહિલા હાઈ કમિશનર વિજયા લક્ષ્મી પંડિતે ૧૯૫૪થી ૧૯૬૧ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. આ પછી, શ્રીમતી રુચિ ઘનશ્યામે ડિસેમ્બર ૨૦૧૮માં આ હોદ્દો ધારણ કર્યો હતો. હવે તેમના પછી તરત ગાયત્રી ઈસ્સાર કુમારને આ કાર્યભાર સોંપાયો છે.