લંડનઃ પૂર્વ પત્નીના ભારત સ્થિત પરિવારને આર્સેનિક ઝેર આપી સાસુની હત્યા કરવા અને સસરાની સોપારી આપી હત્યા કરવાનો પ્રયાસ કરનાર યુકે સ્થિત ભારતીય મૂળના ફાર્માસિસ્ટ અજીત કુમાર મુપ્પારાપુ સામે ભારતમાં ખટલો ચલાવવા તેને ભારત ખાતે પ્રત્યર્પિત કરવા લંડનની અદાલતે આદેશ આપ્યો છે.
ભારતીય પક્ષકારોના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં પત્નીથી અલગ થયા બાદ મુપ્પારાપુએ શિરીષા મુત્તાવરાપુના હૈદરાબાદ સ્થિત પરિવારને નિશાન બનાવ્યો હતો. તેણે આર્સેનિક મિશ્રિત મરચું અને મીઠું પરિવારને મોકલ્યું હતું, જેનો ઉપયોગ જૂન 2023માં લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન બનાવવામાં થયો હતો. આ ઝેરી ખોરાક ખાવાથી જુલાઈ 2023માં તેની સાસુ ઉમા મહેશ્વરીનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોના બ્લડ અને યુરિન રિપોર્ટમાં આર્સેનિકનું પ્રમાણ સામાન્ય કરતા 20 ગણું વધુ મળી આવ્યું હતું. આ ઉપરાંત, મુપ્પારાપુ પર સસરા હનુમંત રાવની ફેબ્રિકેટેડ રોડ અકસ્માત, કિલર્સ રોકીને અને સ્નાયુઓને નિષ્ક્રિય કરતી ઘાતક દવા ઈન્જેક્ટ કરાવી હત્યા કરવાનો ષડયંત્ર રચવાનો પણ આરોપ છે. જજ જ્હોન ઝાનીએ ભારતીય સત્તાવાળાઓની ખાતરી અને પૂરતા પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને પ્રત્યર્પણને લીલી ઝંડી આપી હતી. મુપ્પારાપુ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

