લંડનઃ સર અનિષ કપૂર સેંકડો મિલિયન ડોલરના ખર્ચે અંતરિક્ષમાં એક મકાન જેટલા કદનું શિલ્પ સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહ્યાં છે. બ્રિટિશ શિલ્પકારનું માનવું છે કે આ શિલ્પને પૃથ્વી પરથી પણ જોઇ શકાશે. તેમના અનુસાર આ શિલ્પ સ્વર્ગના વ્યાપારીકરણના વિરોધમાં અવકાશના અસામાન્ય જાદુનો નજારો આપશે.
બ્રિટિશ શિલ્પકાર કહે છે કે, આ મામલામાં ઘમંડ ન કરવું અઘરૂં છે પરંતુ અમે અંતરિક્ષમાં સાહસ અંગેના અગાઉના ઉત્સાહને પરત લાવવા માગીએ છીએ. તે સમયે અંતરિક્ષ એક નવો મોરચો હતું પરંતુ હવે આપણે એમ માની રહ્યાં છીએ કે આપણે અન્ય હેતૂ માટે અંતરિક્ષને જીતી રહ્યાં છીએ અને તે હેતૂ માત્ર નાણા છે.
સર કપૂરને 1991માં ટર્નર પ્રાઇઝથી સન્માનિત કરાયાં હતાં. આર્સેલર મિત્તલ ઓરબિટ ટાવર સહિતના કામો માટે તેઓ જાણીતા છે. આ બ્રિટનનું સૌથી ઊંચુ સ્થાપત્ય છે. 2012માં લંડન ઓલમ્પિક ગેમ્સ સમયે તેનું નિર્માણ કરાયું હતું.


