લંડનઃ યુકે દ્વારા મંજૂર કરાયેલી ફાઈઝર- બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનના પ્રાયોરિટી લિસ્ટમાંથી NHSના વર્કર્સને બાકાત કરાયા છે. બાયોએનટેક દ્વારા જણાવાયું છે કે તેઓ ૨૦૨૦માં નિયત કરાયેલા ડોઝનો જથ્થો પૂરો પાડી શકે તેમ નથી. જોકે, યુકેને હજુ લાખો ડોઝનો સપ્લાય પૂરો પાડવામાં આવનાર છે. અગાઉ, કેર હોમ્સને વેક્સિનના ડોઝ ન અપાય તેવી સ્થિતિ હતી પરંતુ, હવે વેક્સિનના ડોઝ નાની બેચીસમાં આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી કેર હોમ્સને પૂરવઠો મળવાની શક્યતા વધી છે. બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું કે માત્ર થોડા ડોઝ યુકે આવી પહોંચ્યા છે. નવી રસીકરણ સ્ટ્રેટેજીથી ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સમાં નિરાશા ઉપજી છે.
યુકેને નવા વર્ષ અગાઉ Pfizer/BioNTech દ્વારા પૂરા પડાનારા વેક્સિન ડોઝના પૂરવઠામાં ઘટાડો થવા સાથે ફ્રન્ટલાઈન NHSના વર્કર્સને પ્રાયોરિટી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. યુકેએ યુરોટનલમાં થઈ લાખો વેક્સિન ડોઝના ટ્રાન્સપોર્ટનું ગુપ્ત ઓપરેશન હેઠળ પાર પાડવા સાથે પ્રથમ પૂરવઠો યુકેમાં શુક્રવારે રાત્રે આવી પહોંચ્યો હતો. આ વર્ષના અંત સુધીમાં લાકો ડોઝ યુકેમાં આવી પહોંચવાના મિનિસ્ટર્સના દાવાઓ વચ્ચે ફાઈઝર દ્વારા જણાવાયું હતું કે સપ્લાય ચેઈનની સમસ્યાના કારણે તેઓ ૧૦૦ મિલિયન વેક્સિનનો અડધો હિસ્સો જ પૂરો પાડી શકે તેમ છે.
બાયોએનટેકના ચીફ કોમર્શિયલ ઓફિસરે જણાવ્યું હતું કે ૪૦ મિલિયન ડોઝનો ઓર્ડ આપનારા બ્રિટનને જાન્યુઆરી માટે લગભગ ૨૫ ટકા પૂરવઠો મળવાની શક્યતા હતી. આગામી સપ્તાહથી વધુ પૂરવઠો મોકલવામાં આવશે. જોકે, બ્રિટને વર્ષના અંત પહેલા ખરેખર કેટલો પૂરવઠો મળશે તે નિશ્ચિત નથી. હવે વર્ષના અંત સુધીમાં ૮૦૦,૦૦૦ ડોઝ મળી શકે તેમ છે. આના પરિણામે, પ્રાયોરિટી લિસ્ટનો ગૂંચવાડો સર્જાયો છે. NHS પ્રોવાઈડર્સના જણાવ્યા મુજબ પ્રારંભિક પૂરવઠો વયોવૃદ્ધ લોકો અને કેર હોમ્સના રહેવાસીઓને અપાશે. ફાઈઝર વેક્સિનને નાની બેચીસમાં વિભાજિત કરવાની નવી વ્યવસ્થાના પરિણામે કેર હોમ્સને વેક્સિનનો જથ્થો આપવાની સમસ્યા દૂર કરી શકાઈ છે. વેક્સિન હાલમાં ૯૭૫ અને ૪,૮૭૫ ડોઝની વચ્ચેના પેકિંગમાં આવે છે જેને ટ્રાન્સપોર્ટ કરાયા પછી ૬ કલાકમાં ઉપયોગમાં લેવું જરુરી છે. કેર હોમ્સના રહેવાસીઓની સંખ્યા ઓછી હોવાથી નાના પેકિંગની સમસ્યા સર્જાઈ હતી.