લંડનઃ ક્વીન મધરના નિધન બાદ બ્રિટિશ રાજવી પરિવારની માઠી બેઠી લાગી છે. પહેલા કિંગ ચાર્લ્સ તૃતીયને કેન્સરનું નિદાન થયા બાદ હવે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનને પણ કેન્સર હોવાનું નિદાન થયું છે. એક વીડિયો સાથે જારી કરેલા નિવેદનમાં પ્રિન્સેસ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં તેમના પર કરાયેલી એબ્ડોમિનલ સર્જરી બાદ કરાયેલા ટેસ્ટમાં તેઓ કેન્સરથી પીડાતા હોવાનું નિદાન થયું છે. મારી મેડિકલ ટીમની સલાહ બાદ હવે મને પ્રિવેન્ટિવ કિમોથેરાપી આપવામાં આવી રહી છે. આ નિદાનથી મને અને પ્રિન્સ વિલિયમને મોટો આઘાત લાગ્યો છે. અમે અમારા પરિવારની સુખાકારી માટે આ સ્થિતિનો અંગત રીતે સામનો કરી રહ્યાં છીએ. મેં આ જાહેરાત કરતાં પહેલાં મારા બાળકો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઇસને અવગત કરાવવામાં સમય લીધો હતો. છેલ્લા કેટલાંક મહિના અમારા પરિવાર માટે ઘણા પડકારજનક રહ્યાં છે. હું અસામાન્ય મેડિકલ ટીમ મેળવવા માટે ભાગ્યશાળી છું જે મને અદ્દભૂત સારવાર આપી રહી છે. હું હૃદયના ઊંડાણથી તેમની આભારી છું.