લંડનઃ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી જે મેડિકલ કોલેજ દ્વારા બી જે મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા ભાવવિભોર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોક, સંવેદના અને માનવતાની લાગણીઓના દ્રશ્ય જોવા મળ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ મૌન પાળીને સદ્દગતિ પામેલા 260 મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે હાજર ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને જણાવ્યું હતું કે, આજથી એક વર્ષ અગાઉની આ દુર્ઘટનામાં બ્રિટનના 52 નાગરિક સહિત 260 પ્રવાસીના મોત થયાં હતાં. એ દિવસે હું અમદાવાદ આવી ત્યારે જોયેલા દ્રશ્યો ક્યારેય ભૂલી શકાશે નહીં. મૃતકોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. લિન્ડી કેમરને દુર્ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.


