ફર્લો સ્કીમ હવે ૩૧ માર્ચ સુધી લંબાવાઈઃ

Tuesday 10th November 2020 15:43 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે નાટ્યાત્મક રીતે ઓક્ટોબરમાં પૂર્ણ થનારી ફર્લો સ્કીમને માર્ચ મહિના સુધી લંબાવવાની જાહેરાત હાઉસ ઓફ કોમન્સમાં કરી હતી. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે નવેસરના લોકડાઉન્સથી તેમની કોરોના વાઈરસ સ્ટ્રેટેજી ખોરંભે પડી છે. હવે વર્કર્સને માર્ચ મહિના સુધી તેમના નિયત વેતનના ૮૦ ટકા અને મહત્તમ માસિક ૨,૫૦૦ પાઉન્ડની મર્યાદા સાથે વેતન મળી શકશે. એમ્પ્લોયર્સે માત્ર નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન કોસ્ટમાં યોગદાન આપવાનું રહેશે. અસામાન્ય પોલિસી બદલાવથી સરકારના માથે વધુ ૪૦ બિલિયન પાઉન્ડનો બોજો આવશે. દરમિયાન, બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેનો મહાકાય બોન્ડ ખરીદીનો કાર્યક્રમ વધારી ૮૯૫ બિલિયન પાઉન્ડનો કરવા સાથે અર્થતંત્રમાં વધુ ૧૫૦ બિલિયન પાઉન્ડ ઠાલવવાની ઘોષણા કરી હતી. બ્રિટિશ અર્થતંત્ર ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે બે ટકા જેટલું સંકોચાવાનો અંદાજ મૂકાયો છે પરંતુ, બેન્કે જણાવ્યું છે કે યુકે મંદીના ઊંડા કળણમાંથી બચી જવાની શક્યતા છે.

સેલ્ફ-એમ્પ્લોઈડ વર્કર્સને ગ્રાન્ટ બમણી

કોમન્સમાં નિવેદન કરતા સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે સેલ્ફ-એમ્પ્લોઈડ વર્કર્સ માટે નવેમ્બરથી જાન્યુઆરી સુધી અગાઉના સરેરાશ નફાના ૪૦ ટકાના બદલે ૮૦ ટકાના ધોરણે ગ્રાન્ટ્સ ચૂકવવામાં આવશે. જોકે, સ્ટાફને જાળવી રાખવા માટે ફર્મ્સને ૧,૦૦૦ પાઉન્ડનું જોબ રિટેન્શન બોનસ અપાતું હતું તેનો અંત આવશે. સ્વરોજગારી લોકો તેમના અગાઉના વાર્ષિક નફાના ૮૦ ટકા જેટલી અથવા ૭,૫૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ માટે અરજી કરી શકશે.

એક વર્ષ કરતા વધુ સમય અમલી રહેનારી ફર્લો સ્કીમ યથાવત રાખવા પાછળ વિકેન્દ્રિત સરકારોની ફરિયાદો કારણભૂત છે. તેમણે દલીલ કરી હતી કે ઈંગ્લેન્ડને લોકડાઉનનો સામનો કરવાનો થયો ત્યારે આ સ્કીમ લંબાવી હતી પરંતુ, તેમણે પગલાં લીધાં ત્યારે આ યોજનાનો લાભ અપાયો ન હતો. સુનાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુકેની તાકાતના લીધે જ આટલા આક્રમક સ્તરનો સપોર્ટ શક્ય બન્યો છે. તેમણે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને વધારાના બે બિલિયન આપવાની જાહેરાત કરી હતી. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે તેઓ સ્કોટલેન્ડમાં ફર્લો સપોર્ટ આપી શક્યાં નથી.

ફર્લો લંબાવાતા વધુ £૪૦ બિલિયનનો બોજો

ચાન્સેલર સુનાકે ૩૧ ઓક્ટોબરે પૂર્ણ થનારી ફર્લો સ્કીમને છેક માર્ચ મહિના સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આનો અર્થ એ છે કે કોરોના વાઈરસ અથવા લોકડાઉન નિયંત્રણોના કારણે કામ કરી શક્યા ન હોય એથવા તેમના કલાકોમાં કાપ આવ્યો હોય તેવાં એમ્પ્લોઈઝને જે કલાકો કામ કર્યું ન હોય તે માટે પણ નિયત વેતનના ૮૦ ટકાની મદદ મળશે. બિઝનેસીસે કર્મચારીના સંપૂર્ણ નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન કોસ્ટની ચૂકવણી કરવાની થશે અને સિવાયનો સંપૂર્ણ ખર્ચ ટ્રેઝરી ચૂકવશે.

ચાન્સેલરે જણાવ્યું હતું કે સરકાર બીજી ડિસેમ્બરે લોકડાઉન ઉઠાવી લેવા માગે છે પરંતુ, અર્થતંત્રને નુકસાન તેના પછી પણ થતું રહેશે. સત્તાવારપણે જોબ રિટેન્શન સ્કીમ તરીકે ઓળકાતી યોજના હવે ૩૧ માર્ચ સુધી લંબાવાઈ છે. ફર્લોના સ્થાને બીજી યોજના મૂકાઈ હતી પરંતુ, તેમાં વર્કર્સને તેમના નિયત વેતનની ૬૭ ટકા રકમ જ મળતી હતી અને લોકડાઉન નિયંત્રણોમાં બિઝનેસને બંધ કરવાના આદેશની સીધી અસર થતી હોય ત્યારે જ તે લાગુ થતી હતી.

ચાન્સેલર કશું શીખ્યા નથીઃ IFS

પ્રતિષ્ઠિત IFS થિન્ક ટેન્કે તો ચાન્સેલરનો ઉધડો લઈ નાખતાં કહ્યું છે કે ચાન્સેલર કશું શીખ્યા હોય તેમ લાગતું નથી અને કઈ નોકરીઓ હજુ વિકાસક્ષમ છે તે વિચાર્યા વિના જ સમસ્યા જોઈને નાણા ફેંકતા જાય છે. અન્ય નિષ્ણાતોએ કહ્યું હતું કે સરકારે આઠ વેજ સપોર્ટ સ્કીમ રજૂ કરી છે અને ત્રણ તો કદી અમલી બનાવાઈ નથી.

ઈંગ્લેન્ડને મિનિસ્ટર્સની ધારણા કરતા બીજી ડિસેમ્બરથી પણ વધુ સમય નિયંત્રણો હેઠળ રહેવું પડશે તેવી આશંકા વચ્ચે નિષ્ણાતોએ આ પગલાંની આકરી ટીકા કર્યા પછી ચાન્સેલરે એમ પણ કહ્યું હતું કે અર્થતંત્રની રીકવરી ધીમી પડી છે અને બિઝનેસીસ સામેની અનિશ્ચિતતા આગામી વર્ષમાં લંબાઈ ગઈ છે.

લોકડાઉન નિયંત્રણોને પાર્લામેન્ટની બહાલી

હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ ૫૧૬ વિરુદ્ધ ૩૮ મતથી (સરકારની બહુમતી ૪૭૮ની છે) નવા અને બીજી ડિસેમ્બરે પૂર્ણ થનારા નિયંત્રણોની તરફેણમાં મતદાન કર્યું હતું. ૩૨ ટોરી સાંસદોએ પક્ષના વ્હીપનો અનાદર કરી વિરુદ્ધમાં મત આપ્યો હતો જ્યારે વધુ બે ટોરી સાંસદે ગણતરીકારને નકારમાં ઉત્તર આપ્યો હતો. પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત વધુ ૧૮ ટોરી સભ્યોએ મતદાન કર્યું ન હતું. જોકે, લેબર પાર્ટીએ સરકારના પગલાંને સમર્થન આપ્યું હતું. આ પછી, હાઉસ ઓફ લોર્ડ્સે પણ નિયંત્રણોને મંજૂરી આપ્યાના પગલે પાર્લામેન્ટમાં આ પગલાંને બહાલી મળી હતી. પૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ નેશનલ લોકડાઉનના પગલાને અવિચારી ગણાવી સરકાર પર પસ્તાળ પાડી હતી. મેએ જણાવ્યું હતું કે દિવસના ૪,૦૦૦ મોતની આગાહી કરતો વિવાદાસ્પદ ગ્રાફ જ ખોટો છે, જેના આધારે લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. થેરેસાના પ્રવચનમાં જ વડા પ્રધાન જ્હોન્સન અધવચ્ચેથી કોમન્સમાંથી ચાલ્યા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter