ફાઇનાન્સિયલ ક્રાઇસિસઃ યુકેમાં મિલિયોનર્સની સંખ્યા સૌથી નીચલા સ્તરે

ઊંચા વ્યાજ અને કરવેરાના દરો અને ધનવાનોનું બ્રિટન છોડીને જવું મુખ્ય કારણ

Tuesday 04th August 2026 12:50 EDT
 
 

લંડનઃ નવા એનાલિસિસ અનુસાર યુકેમાં મિલિયોનર્સની સંખ્યા ઘટીને નાણાકીય કટોકટી પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટર રાઇટ થિંક ટેન્ક એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં યુકેમાં મિલિયોનર્સની સંખ્યા ઘટીને 4,42,000 થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 7 ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ 2008 પછી નોંધાયેલો આ સૌથી નીચો આંકડો છે.

વર્ષ 2020 માં આ આંકડો 10 લાખને પાર થયો હતો અને 2021 માં વધીને 10.7 લાખ થયો હતો. જોકે, ત્યારપછીના ચાર વર્ષોમાં તેમાં સતત મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારી પછી સતત વધેલા વ્યાજદરો અને બેંકોના બચત દરોમાં થયેલા ઘટાડાને કારણે ચોખ્ખી સંપત્તિના મૂલ્યને મોટો ફટકો પડ્યો છે.

એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે, ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ કાં તો બ્રિટન છોડી રહી છે અથવા હવે અહીં આવવાનું પસંદ નથી કરી રહી. તેની પાછળ નોન-ડોમ ટેક્સ સ્ટેટસની નાબૂદી, સામાન્ય કરવેરાનું ઊંચું સ્તર અને સંપત્તિ સર્જકો માટે પ્રતિકૂળ વાતાવરણ જેવા મુખ્ય કારણો જવાબદાર છે.

ટેક્સ સુધારાના અમલ પહેલાં 1,000 થી વધુ નોન-ડૉમ્સની યુકેને અલવિદા

સરકાર દ્વારા નોન-ડૉમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરવાના નિર્ણય બાદ નવી કર સિસ્ટમ લાગુ થાય તે પહેલાંના અંતિમ વર્ષમાં 1,000 થી વધુ વિદેશી સમૃદ્ધ નાગરિકોએ યુકેને અલવિદા કહ્યું છે. એચએમઆરસીના આંકડા મુજબ વિદેશી આવક પર કર રાહત મેળવતા નોન-ડૉમ કરદાતાઓની સંખ્યા 83,100 થી ઘટીને 81,900 થઈ ગઈ છે. આ ઘટાડા છતાં નોન ડોમ્સે કેપિટલ ગેઇન્સ, રોજગાર અને આવકવેરા પેટે 9.7 બિલિયન પાઉન્ડનું યોગદાન આપ્યું છે જે 2008 પછીનું સૌથી વધુ યોગદાન છે. વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓના પલાયનથી લાંબા ગાળે દેશની રોજગારી અને આર્થિક વૃદ્ધિ પર વિપરીત અસર પડવાની ક્ષેત્રના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter