ફિલિપ ગ્રીનનું આર્કેડિયા બંધ થવાના ભયથી પેન્શન માટે ચિંતા

Wednesday 02nd December 2020 05:13 EST
 
 

લંડનઃ લેબર અને યુનાઈટ યુનિયને સર ફિલિપ ગ્રીનને તેમના રિટેઈલ સામ્રાજ્યની પેન્શન સ્કીમમાં પૂરતું ફંડ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. ટોપશોપ, મિસ સેલ્ફ્રીજ, ડોરોથી પર્કિન્સ, વોલિસ, આવ્નાસ, આઉટફીટ એન્ડ બર્ટનની માલિકી ધરાવતું આર્કેડિયા ગ્રૂપ કોવિડ શટડાઉનને લીધે તેની હાલની તકલીફોમાં થયેલા વધારા પછી ક્રેડિટર્સથી પ્રોટેક્શન માગે તેવી શક્યતા છે.એડમિનિસ્ટ્રેટર્સને નીમવામાં આવે તો ગ્રૂપના પેન્શન ફંડનો હવાલો પેન્શન લાઈફબોટ દ્વારા લઈ લેવાશે. ફંડમાં ૩૫૦ મિલિયન પાઉન્ડની ખાધ હોવાનો અંદાજ છે.

લાઈફબોટ સ્કીમ હેઠળ જે સભ્યો એડમિનિસ્ટ્રેટરોએ જે તારીખે હવાલો સંભાળ્યો હોય ત્યારે સ્કીમની સામાન્ય રિટાયરમેન્ટની ઉંમરે ન પહોંચ્યા હોય અને તેમણે પેન્શન લેવાનું ચાલુ કરી દીધું હોય તો પણ તેમને તેમના બેનિફિટના દસ ટકા ગુમાવવા પડે છે.

લેબરના શેડો મિનિસ્ટર ફોર બિઝનેસ એન્ડ કન્ઝ્યુમર્સ લ્યૂસી પોવેલે જણાવ્યું કે સર ફિલિપ ગ્રીને જે યોગ્ય છે તે કરવું જોઈએ અને મહેનતુ લોકોને તેની કિંમત ચૂકવવી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આર્કેડિયાના પેન્શનની ખાધ પૂરી કરી દેવી જોઈએ.

આર્કેડિયાના કેટલાંક વર્કરોનું પ્રતિનિધિત્વ સંભાળતા યુનાઈટના નેશનલ ઓફિસર મેટ ડ્રેપરે જણાવ્યું હતું કે આર્કેડિયાના હાલના અને અગાઉના હજારો કર્મચારીઓના પેન્શન માટે ખતરો ઉભો થયો છે. આ વર્કરો સંપૂર્ણપણે દોષમુક્ત છે પણ તેમને સર ફિલિપ ગ્રીનના ગેરવહિવટની કિંમત ચૂકવવી પડશે. જ્યારે સર ફિલિપ તો ફ્રાન્સના સાઉથમાં તેમની યોટમાં મઝા માણી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter