લંડનઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એફેર્સના અભ્યાસી રિપોર્ટમાં ઈંગ્લેન્ડમાં તમામ પેરન્ટ્સને ચાઈલ્ડકેર માટે અપાયેલા અધિકાર વંચિત-કચડાયેલાં બાળકો માટેની સિસ્ટમની તરફેણમા રદ કરવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સપ્તાહમાં ૧૫ કલાકની નિઃશુલ્ક બાળસંભાળના અધિકારે માર્કેટ પ્રાઈસને બગાડી છે અને સમૃદ્ધ લોકોને જ વધુ ફાયદો થયો છે. સરેરાશ કમાણી ધરાવતા ઘણા પરિવારો તેમની આવકના ત્રીજા હિસ્સાથી વધુ રકમ ચાઈલ્ડકેર પાછળ ખર્ચે છે.
આ યોજનામાં સરકારનું ભારે રોકાણ છતાં પરિવારોએ તેમના બાળકોની સંભાળ માટે મોટી રકમો ખર્ચવી પડે છે. જે લોકોને ખરેખર સહાયની જરૂર છે તેમને મળતી નથી અને સમૃદ્ધ પરિવારોને ઉદાર સબસિડી મળે છે. હાલ ઈંગ્લેન્ડમાં ત્રણ અને ચાર વર્ષના બાળકોના પેરન્ટ્સને સપ્તાહમાં ૧૫ કલાકની મફત બાળસંભાળનો અધિકાર મળે છે, જે સપ્ટેમ્બર મહિનાથી વધીને સાપ્તાહિક ૩૦ કલાકનો થશે.
કેર પ્રોવાઈડર્સ કહે છે કે કેટલાક વિસ્તારોમાં આ યોજના માટે ઓછું ભંડોળ મળવાથી પેરન્ટ્સ માટે નર્સરી કોસ્ટ સાતમા આસમાને પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર ચાઈલ્ડકેરની ગુણવત્તા સુધારવાના પ્રયાસોથી અંકુશો જ વધ્યા છે અને સારાં પરિણામો મળતાં નથી. ઘેર રહીને બાળકોને સંભાળવા જેવી વૈકલ્પિક પદ્ધતિ અતિશય મોંઘી બની છે.


