લંડનઃ બકિંગહામ પેલેસના પ્રસિદ્ધ રોઝ ગાર્ડન સહિતના બગીચાઓને શુક્રવાર, ૯ જુલાઈથી પ્રથમ વખત પિકનિક અને સેલ્ફ ગાઈડેડ ટુર માટે પ્રજા માટે ખુલ્લા મૂકાયા છે. બકિંગહામ પેલેસનો રોઝ ગાર્ડન અઠવાડિયાના પાંચ દિવસ (મંગળવાર અને બુધવાર સિવાય) ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ખુલ્લો રહેશે. પર્યટકો લીલીછમ લોન્સ પર પિકનિક કરી શકશે અને બગીચામાં જાતે જ પરિભ્રમણ કરી શકશે.
આ બાગમાં જોવાલાયક આકર્ષણોમાં ૧૫૬-મીટર ઘાસની બોર્ડર, હોર્સ ચેસ્ટનટ એવન્યૂ, મહારાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટના નામ પર રોપાયેલાં વૃક્ષો, કૃત્રિમ ટાપુ અને ૩.૫ એકરમાં ફેલાયેલ તળાવની પારે આકર્ષક મધપૂડાઓ સામેલ છે. આ સિવાય ટિકીટોની વધતી માંગને જોતા જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં વધારાના સ્થળોને પણ સમાવી લેવાયાં છે. બાળકો માટે જુલાઈ અને ઓગસ્ટના સોમવારે હસ્તકલાની પ્રવૃત્તિઓ તેમજ ફેમિલી ફેસ્ટિવલના ભાગરુપે ૨૬ અને ૩૦ ઓગસ્ટના વોર્ડનના નેતૃત્વ હેઠળ ફેમિલી ટૂર ઉપલબ્ધ રહેશે.
૩૯ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક બગીચામાં વર્તમાન લેન્ડસ્કેપ કિંગ રાજા જ્યોર્જ ચોથાએ બકિંગહામ હાઉસને મહેલમાં ફેરવ્યો તે વર્ષ ૧૮૨૦થી છે. શહેરી વિસ્તારમાં આવેલો હોવા છતાં આ ગાર્ડનમાં ૧,૦૦૦થી વધુ વૃક્ષ, ૩૨૦ વિવિધ વન્યમુખી ફૂલછોડ અને ઘાસ, તેમજ શેતૂરના વૃક્ષોનો દુર્લભ રાષ્ટ્રીય સંગ્રહ છે. અહીં રોઝ ગાર્ડનમાં ગુલાબના ૨૫ વિભાગ છે અને પ્રત્યેક વિભાગમાં વિભિન્ન પ્રકારના ગુલાબના છોડ લગાવાયા છે તેમજ આજુબાજુના કોઈ પણ વિભાગમાં એક જ રંગના ગુલાબ જોવા મળતા નથી.
સરોવરસ્થિત ટાપુમાં ૨૦૦૮થી પાંચ વિશાળ મધપૂડા છે જેમાંથી પેલેસના કિચન માટે વર્ષની ૧૬૦ બરણી ભરીને મધ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત, લેમન વર્બેના, તજના પાન અને શેતૂરના પાંદડા સહિત બગીચાની કેટલીક વનસ્પતિઓનો ઉપયોગ બકિંગહામ પેલેસ જિન બનાવવા માટે થાય છે. પરંપરાગત રીતે, વર્ષ દરમિયાન પેલેસમાં ક્વીન દ્વારા યોજાતી ત્રણ ગાર્ડન પાર્ટીમાં પ્રત્યેક સમયે ૮,૦૦૦ મહેમાનોનું આતિથ્ય કરવામાં આવે છે, પરંતુ મહામારીના લીધે ગત અને આ વર્ષે પણ આ પરંપરા નિભાવી શકાઈ નથી.