લંડનઃ બર્મિંગહામ સિટી સેન્ટરમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 28 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની અનીશા ચક્રવર્તીનું કરૂણ મોત થયું હતું. પોલીસે નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માત સર્જવાના આરોપસર 22 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અનીશા ચક્રવર્તી બ્રોડ સ્ટ્રીટ સ્થિત જાણીતી રેસ્ટોરન્ટ ચેઇન જીમી સ્પાઇસીસમાં પાર્ટ ટાઇમ નોકરી કરતી હતી. 30 મેના શનિવારના રોજ વહેલી સવારે ડાર્ટમાઉથ મિડલવે પર એક કાળા રંગની ઓડી કારે તેને જોરદાર ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
અનીશાના પાર્થિવ દેહને ભારત પરત મોકલવા અને અંતિમ સંસ્કારના ખર્ચને પહોંચી વળવા માટે તેની રેસ્ટોરન્ટ મેનેજર શેફાલી કરુલકરે એક ફંડરેઝિંગ અભિયાન શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અનીશા ખૂબ જ દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ હતી. અનીશા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા પર યુકેમાં હતી અને બર્મિંગહામમાં જ સ્થાયી થવાની ઈચ્છા ધરાવતી હતી.


