બળાત્કારીઓને જેલમાંથી વહેલા મુક્ત કરવા પર પ્રતિબંધ લદાશે

હાલ અર્લી રિલિઝ સ્કીમમાંથી હત્યારા કેદીઓને બહાર રખાયા છે

Tuesday 04th August 2026 12:46 EDT
 
 

લંડનઃ લેબર સરકારની જેલો પરનું ભારણ ઘટાડવા માટે કેદીઓને વહેલા મુક્ત કરવાની યોજનામાંથી બળાત્કારીઓને બાકાત રાખવાના વિકલ્પો પર અધિકારીઓ અને જસ્ટિસ સેક્રેટરી એલેક્સ નોરિસ વિચારણા કરી રહ્યા છે.

ગંભીર જાતીય અને હિંસક ગુનેગારોને સમય પહેલાં છોડી મુકવાના નિર્ણય સામે સાંસદો, પીડિતો અને જેલ અધિકારીઓના ભારે વિરોધ બાદ વડાપ્રધાન એન્ડી બર્નહામે આ યોજનાની તાકીદની સમીક્ષા કરવા આદેશ આપ્યો હતો. સરકાર આવતા સપ્તાહની શરૂઆતમાં આ સમીક્ષાના આખરી પરિણામો જાહેર કરે તેવી શક્યતા છે.

અતિશય ભીડ ધરાવતી જેલોની સમસ્યા ઉકેલવા લાવવામાં આવેલી આ યોજના હેઠળ, ગંભીર ગુનેગારો તેમની સજાના બે-તૃતિયાંશ ભાગને બદલે અડધી સજા પૂર્ણ કરીને મુક્ત થવા માટે પાત્ર બનતા હતા. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, નાગરિકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે અને પીડિતોના હિતોને ધ્યાનમાં રાખીને જ આ નીતિ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter