લંડનઃ પાર્લામેન્ટનું સસ્પેન્શન ગેરકાયદે હોવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી યોજાએલા નવા પોલ અનુસાર બ્રેક્ઝિટને અવરોધવાની એસ્ટાબ્લિશમેન્ટ યોજના હોવાનું જણાવતા અડધાથી વધુ એટલે કે ૫૫ ટકા બ્રિટિશ મતદારો વહેલી ચૂંટણી યોજાય તેમ ઈચ્છે છે. વડા પ્રધાન જ્હોન્સને તેમની સરકાર સામે નો-કોન્ફિડન્સ દરખાસ્ત લાવી વહેલી ચૂંટણી યોજવા લેબર પાર્ટીને પડકાર ફેંક્યો હતો, જેને જેરેમી કોર્બીને નકારી કાઢ્યો છે. જ્હોન્સન બ્રેક્ઝિટ મડાગાંઠ તોડવા વહેલી ચૂંટણીને શ્રેષ્ઠ ઉપાય માને છે. ડાઉનિંગ સ્ટ્રીટે એવો સંકેત આપ્યો છે કે વડા પ્રધાન પાર્લામેન્ટને ફરી સસ્પેન્ડ કરવાનું વિચારી રહ્યા છે. સુર્વેશન સર્વેમાં મતદારોએ દેશના આગામી વડા પ્રધાનપદના સારા ઉમેદવાર તરીકે બોરિસ જ્હોન્સનને પ્રથમ, લિબ ડેમના નેતા જો સ્વિન્સનને બીજો અને લેબર નેતા જેરેમી કોર્બીનને ત્રીજો ક્રમ આપ્યો છે.
આ ઉપરાંત, લોકપ્રિયતામાં ટોરી પાર્ટીને ૨૭ ટકા, લેબર પાર્ટીને ૨૪ ટકા, લિબરલ ડેમોક્રેટ પાર્ટીને ૨૨ ટકા તેમજ નાઈજેલ ફરાજને બ્રેક્ઝિટ પાર્ટીને ૧૬ ટકા મત મળ્યાં છે. જોકે, મોટા ભાગના મતદારોએ પાર્લામેન્ટના સસ્પેન્શનને યોગ્ય ગણાવ્યું નથી. આમ છતાં, ૫૩ ટકાએ જણાવ્યું છે કે પાર્લામેન્ટને પુનઃસ્થાપિત કરાવાથી પણ બ્રેક્ઝિટ સમસ્યા ઉકેલાશે નહિ. જોકે, ૩૨ ટકા મતદાર તેમની સાથે સંમત થતા નથી. સુર્વેશન મોજણીમાં ૧,૦૧૧ વયસ્કોને વિવિધ પ્રશ્નો કરાયા હતા.
બોરિસ જ્હોન્સન દ્વારા પાર્લામેન્ટનાં સસ્પેન્શનને ગેરકાયદે ઠરાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સર્વે મુજબ ૨૦૧૭માં લેબર પાર્ટીને મત આપનારા મતદારોમાંથી ૬૪ ટકાએ વહેલી ચૂંટણીની તરફેણ કરી છે. માત્ર ૨૮ ટકા લેબર મતદારોએ વહેલી ચૂંટણીનો વિરોધ કર્યો હતો. જ્હોન્સનની માન્યતા અનુસાર વહેલી ચૂંટણીથી બ્રેક્ઝિટ કટોકટી ઉકેલી શકાશે. સુર્વેશન સર્વેમાં ૫૫ ટકા મતદારોએ વહેલી ચૂંટણીની તરફેણ કરી હતી જ્યારે ૨૯ ટકા મતદારોએ તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ૫૨ ટકા બ્રેક્ઝિટ સમર્થકોએ ‘ધ એસ્ટાબ્લિશમેન્ટ’ (સ્થાપિત તંત્રો) દ્વારા બ્રેક્ઝિટને અટકાવવા યોજના ઘડાઈ હોવાની માન્યતા વિશે સંમતિ દર્શાવી હતી. જોકે, ૨૮ ટકા અસંમત થયા હતા અને ૨૦ ટકાએ અજ્ઞાનતા દર્શાવી છે.
જ્હોન્સનને ચૂંટણીમાં વિજય મળી શકે?
પાર્લામેન્ટના સસ્પેન્શન મુદ્દે જ્હોન્સનની વ્યાપક ટીકા થઈ હોવાં છતાં, લેબર નેતા જેરેમી કોર્બીન વિરુદ્ધ તેમની અંગત સરસાઈ ઘણી વધુ છે. સારા વડા પ્રધાન કોણ બની શકે તેવા પ્રશ્ન સામે ૪૧ ટકાએ જ્હોન્સનની પસંદગી કરી હતી જ્યારે, ૨૧ ટકાએ લિબ ડેમના નેતા જો સ્વિન્સન અને માત્ર ૧૮ ટકાએ કોર્બીનની તરફેણ કરી હતી. જોકે, લોકપ્રિયતામાં લેબર પાર્ટી પર માત્ર ત્રણ ટકાની સરસાઈ જ્હોન્સનને બ્રેક્ઝિટ કટોકટી ઉકેલવા કોમન્સમાં બહુમતી અપાવી શકે તેમ નથી. જોકે, કોમન્સમાં બહુમતી સામેનો અવરોધ કોર્બીન કે સ્વીન્સન નહિ પરંતુ, બ્રેક્ઝિટ પાર્ટીના નાઈજેલ ફરાજ છે જેમને સર્વેમાં ૧૬ ટકા મત મળ્યા છે. બ્રેક્ઝિટ પાર્ટીના લગભગ ૭૦ ટકા સમર્થકોએ ૨૦૧૭માં ટોરી પાર્ટીને મત આપ્યા હતા. જ્હોન્સન કોઈ રીતે સમજૂતી કરી શકે અને ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર લાવી શકે તો આ ૭૦ ટકામાંથી બહુમતી ટોરી પાર્ટીને સમર્થન આપી શકે છે. આનાથી ટોરી પાર્ટી ૩૦થી ૪૦ પોઈન્ટ વચ્ચે આવી શકે અને લેબર પાર્ટી પરની સરસાઈ ૧૦ ટકા જેટલી થઈ જાય. જો આમ થાય તો જ્હોન્સનનો શાનદાર વિજય થાય પરંતુ, આ ‘જો અને તો’ની રમત છે. પાર્લામેન્ટમાં લેબર, લિબ ડેમ અને SNPનું ગઠબંધન તેમજ બળવાખોર ટોરી અને રીમેઈનર સભ્યો એક થાય તેનાથી સમજૂતી પસાર કરાવવાની જ્હોન્સનની આશા પર પાણી ફરી વળશે.
જેરેમી કોર્બીન સામે પક્ષમાં નારાજગી
દેશમાં તત્કાલ ચૂંટણી યોજવામાં અસંમત થવા બદલ લેબર પાર્ટીના લાખો સમર્થકોમાં જેરેમી કોર્બીન સામે નારાજગી પ્રવર્તે છે. જ્હોન્સને તેમની સરકાર સામે નો-કોન્ફિડન્સ દરખાસ્ત લાવી વહેલી ચૂંટણી યોજવા વિપક્ષને પડકાર ફેંક્યો હતો, જેને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને નકારી કાઢ્યો હતો. કોર્બીન કહે છે કે નો-ડીલ બ્રેક્ઝિટને નકારી ન દેવાય ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં વિલંબ ઈચ્છે છે. બીજી તરફ, ટોરી પાર્ટીએ કોર્બીનને કાયર ગણાવી દાવો કર્યો હતો કે લેબર પાર્ટી ચૂંટણીથી ડરે છે. નોંધપાત્ર એ છે કે ભાવિ અને સારા વડા પ્રધાન તરીકેની સ્પર્ધામાં કોર્બીન ત્રીજા સ્થાને આવ્યા છે. લેબર પાર્ટી લોકપ્રિયતામાં પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી ત્રણ પોઈન્ટ પાછળ છે. કન્ઝર્વેટિવ પાર્ટીને ૨૭ ટકા, લેબર પાર્ટીને ૨૪ ટકા, લિબરલ ડેમોક્રેટ પાર્ટીને ૨૨ ટકા તેમજ નાઈજેલ ફરાજને બ્રેક્ઝિટ પાર્ટીને ૧૬ ટકા મત મળ્યાં છે.
ડીલ કે નો-ડીલની તરફેણ
સર્વે મુજબ દેશ ફરી વિભાજિત થયો છે. જો સેકન્ડ રેફરન્ડમ યોજાય તો કોની તરફેણ કરશો તેના જવાબમાં ૫૩ ટકાએ ઈયુમાં રહેવાની અને ૪૭ ટકાએ ઈયુ છોડવાની તરફેણ કરી હતી. જોકે, બ્રસેલ્સ સાથે સમજૂતી ન થઈ શકે તો જ્હોન્સને શુ કરવું જીએ તે પ્રશ્નના ઉત્તરમાં ૪૯ ટકાએ કોઈ ડીલ વિના જ ઈયુ છોડવાની તરફેણ કરી હતી. રસપ્રદ મુદ્દો એ છે કે ૨૮ ટકા લેબર મતદારોએ ૩૧ ઓક્ટોબરે નો-ડીલને પસંદ કરવા જણાવ્યું પરંતુ, ૬૭ ટકાએ ઈયુનું સભ્યપદ લંબાવવા તરફેણ કરી હતી.