લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જહોન્સને ૨૭મી નવેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ યુકે અને ભારત સાથે મળીને વ્યાપાર, ક્લાઈમેટ ચેન્જ, સંરક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે તેની ચર્ચા કરી હતી. વડા પ્રધાન જહોન્સને જણાવ્યું હતું કે ૨૦૨૧ નું વર્ષ યુકે - ભારતના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવાનું વર્ષ હશે.
વડા પ્રધાન જહોન્સન અને વડા પ્રધાન મોદીએ કોરોના વાઈરસની સારવાર અને વેક્સિન શોધવા માટે થઈ રહેલા સંયુક્ત પ્રયાસોની પણ ચર્ચા કરી હતી. બન્નેએ આપણા દેશોના અગ્રણી વૈજ્ઞાનિકો વચ્ચે થઈ રહેલા સહયોગને પણ આવકાર્યો હતો.
બન્નેએ આગામી મહિને યોજાનારી ક્લાઈમેટ એમ્બિશન સમિટ વિશે પણ વાત કરી હતી. આ સમિટ આવતા વર્ષે યુકેના યજમાનપદે યોજાનારી COP26 સમિટ પહેલા ક્લાઈમેટ ચેન્જ સામેના વૈશ્વિક પ્રયાસોમાં શક્તિનો પુનઃસંચાર કરશે.
વડા પ્રધાન જહોન્સને દ્વિપક્ષીય વ્યાપાર અને મૂડીરોકાણના પ્રવાહને સુધારવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. બન્ને નેતાઓએ અત્યાર સુધી થયેલી વિસ્તૃત કામગીરીની પ્રશંસા કરી હતી અને આર્થિક સંબંધને વધુ ગાઢ બનાવવાની આશા વ્યક્ત કરી હતી.
ઈન્ડો-પેસિફિક રિજન અંગે યુકેની પ્રતિબદ્ધતા પર વડા પ્રધાન જહોન્સને ફરી ભાર મૂક્યો હતો અને આવતા વર્ષે આ વિસ્તારમાં પ્રથમ HMS Queen Elizabeth કેરિયર ગ્રૂપને તૈનાત કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.