લંડનઃ આતંકવાદ પર ભારતના ઝીરો ટોલરન્સ વલણનો પુનરોચ્ચાર કરવા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ઓલ પાર્ટી ડેલિગેશન શનિવારે લંડન પહોંચ્યું હતું. ડેલિગેશનને ભારતીય હાઇ કમિશન ખાતે આયોજિત ઇવેન્ટમાં ભારતીય સમુદાયનું પ્રચંડ સમર્થન પ્રાપ્ત થયું હતું. પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદી પ્રવૃત્તિઓને ઉઘાડી પાડવાના ભારતીય પ્રતિનિધિમંડળના મિશનને સમર્થન આપવા ડાયસ્પોરાના 1500થી વધુ સભ્ય હાજર રહ્યાં હતાં.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના યુરોપ ચેપ્ટરના પ્રમુખ કુલદીપ શેખાવતે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ભારતીયો હાઇ કમિશન ખાતે એકઠાં થયાં તે અદ્દભૂત બાબત છે.
જોકે ઇવેન્ટને ખોરવી નાખવા માટે આઇએસઆઇ સમર્થિત ખાલિસ્તાની દેખાવકારોએ હાઇ કમિશન સામે નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પોલીસે હાઇ કમિશન ખાતે દેખાવોની પરવાનગી ન આપતાં તેઓ ખાલિસ્તાની ઝંડા અને બેનરો ફરકાવતાં ટ્રફાલગર સ્ક્વેર ખાતે પહોંચ્યાં હતાં.
ટોચના ગુપ્તચર અધિકારીઓએ આ દેખાવોને લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને અપાતી સહાયથી ધ્યાન અન્યત્ર દોરવાના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના પ્રયાસ તરીકે ગણાવ્યા હતા.
ગુપ્તચર સૂત્રે જણાવ્યું હતું કે, વાતને અન્યત્ર વાળવાનો પાકિસ્તાનનો આ સ્પષ્ટ પ્રયાસ હતો. પાકિસ્તાનની આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠને મુદ્દે વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના કારણે આઇએસઆઇ રાજદ્વારી પ્રયાસોને આવા તત્વો દ્વારા ખોરવવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતના ઓલ પાર્ટી પ્રતિનિધિમંડળમાં રવિશંકર પ્રસાદ, દગ્ગુબટી પરન્દેશ્વરી, પ્રિયંકા ચતુર્વેદી, ગુલામ અલી ખતના, અમર સિંહ, સમિક ભટ્ટાચાર્ય, એમ થમ્બીદુરાઇ, એમ જે અકબર અને પંકજ સરનનો સમાવેશ થાય છે.