લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના એશમોલિન મ્યુઝિયમે 1967માં ખરીદેલી થિરુમંગાઇ અલવરની કાંસ્ય પ્રતિમા ભારતના તામિલનાડુને પરત કરવાની સંમતિ આપી છે. આ કાંસ્ય પ્રતિમા થાંજાવૂર જિલ્લાના પૌરાણિક મંદિરમાંથી ચોરીને દાણચોરી દ્વારા યુકે પહોંચાડવામાં આવી હોવાના પુરાવા તામિલનાડુની સીઆઇડી દ્વારા રજૂ કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી તામિલનાડુ પોલીસને જણાવ્યું હતું કે, અમે આ પ્રતિમા પરત કરવા પ્રતિબદ્ધ છીએ, ભારતમાં આ પ્રતિમાની કિંમત કરોડો રૂપિયા હોઇ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનો આ નિર્ણય મૂળ સ્થળથી ચોરી કરીને લવાયેલી પ્રતિમાઓ પરત કરવાના પ્રયાસોની દિશામાં મહત્વનું પગલું છે.
આ પ્રતિમા એક મહિનામાં તામિલનાડુ પહોંચે તેવી સંભાવના છે. રાજ્યના ડીજીપી શંકર જિવાલે આ મામલામાં સીઆઇડી દ્વારા કરાયેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી. સીઆઇડી આ પ્રતિમાની સાથે જ ચોરાયેલી કલિંગા નાર્થા ક્રિશ્ના, વિષ્ણુ અને શ્રીદેવી પ્રતિમાઓ પણ ભારત પરત લાવવા પ્રયાસ કરી રહી છે.


