લંડનઃ વડાપ્રધાન ડેવિડ કેમરને મોટી પીછેહઠમાં જાહેરાત કરી હતી કે બ્રિટન ઈયુની રાહત છાવણીઓમાં રહેતા કેટલાંક શરણાર્થી બાળકોને આશ્રય આપશે. બળવાખોર ટોરી સાંસદોના દબાણ સામે ઝૂકી ગયેલા કેમરને કહ્યું હતું કે યુરોપમાં સાથ-સંગાથ વિનાના સંખ્યાબંધ બાળકોને આશરો આપવાની લેબર પાર્ટીના લોર્ડ ડબ્સે રજૂ કરેલી યોજનાને સરકાર સ્વીકારશે. જોકે, ગત ૨૦ માર્ચની ઈયુ-તુર્કી માઈગ્રન્ટ સમજૂતી અગાઉ યુરોપ આવેલા બાળકોને જ આશ્રય અપાશે.
અગાઉ, અંદાજે ૩૫ ટોરી સાંસદોએ આશ્રયના મુદ્દે સંસદમાં મતદાનમાં ડબ્સની યોજનાને સમર્થન આપવાની અને સરકાર સામે બળવાની જાહેરાત કરી હતી. કેમરનની જાહેરાતને આવકારતા લોર્ડ ડબ્સે જણાવ્યું હતું, ‘ હું સરકારના નિર્ણયને આવકારું છું, કારણ કે તેનાથી યુરોપમાં નિઃસહાય બાળકોની હાલતમાં સુધારો થશે.’ લોર્ડ ડબ્સે અગાઉ બ્રિટન દ્વારા ૩,૦૦૦ બાળકોને આશ્રયની દરખાસ્ત રજૂ કરી હતી, જે ૧૮ મતે નામંજૂર થઈ હતી.
કેમરને ઉમેર્યું હતું કે યુરોપના કેમ્પમાંથી શરણાર્થી બાળકોને લાવવાની યોજના તૈયાર કરવા મિનિસ્ટરો લોકલ ઓથોરિટી સાથે સંકલન કરી રહ્યા છે. આ બાળકો માટે વધુ શું કરી શકાય તે માટે તેઓ ‘Save the Children’ સાથે વાત કરશે. યુકેમાં પોતાના પરિવારના કોઈ સભ્ય રહેતા હોય તેવા બાળ શરણાર્થીઓની અરજી પર તાકીદે નિર્ણય લેવાશે. સરકારે આ અગાઉ યુરોપ આવેલા કોઈ પણ શરણાર્થીને આશ્રય આપવાનું નકાર્યું હતું.


