લંડનઃ શોપ લિફ્ટિંગ અને સાયબર ક્રાઇમ સહિતના અપરાધોમાં વધારો અને સંખ્યાબંધ સ્કેન્ડલથી ઘેરાયેલી પોલીસ પરનો જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. એક સરવે અનુસાર 50 ટકા કરતાં વધુ જનતાને પોલીસ અપરાધોના કેસોનો ઉકેલ લાવી શકે છે તેમાં વિશ્વાસ જ રહ્યો નથી. 33 ટકા કરતાં વધુ લોકોએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરાશે તેવો તેમને વિશ્વાસ નથી. સરવેમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના આધાર સમાન પોલીસની કામગીરીના સિદ્ધાંત પર સવાલો પૂછવામાં આવ્યાં હતાં.
સરવેમાં ફક્ત 26 ટકા લોકોએ જણાવ્યું હતું કે, જો અમારી સાથે કોઇ અપરાધ થશે તો પોલીસ અપરાધીની ધરપકડ કરીને તેની સામે ખટલો ચલાવશે. ફક્ત 7 ટકાને એવો વિશ્વાસ છે કે ખિસ્સા કાતરુને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળશે.
33 ટકા લોકોનું માનવું છે કે બળાત્કારના કેસમા અપરાધીની ધરપકડ અને તેની સામે ખટલો ચાલે તેવી તેમને કોઇ સંભાવના દેખાતી નથી. ફક્ત 37 ટકા જનતાનું માનવું છે કે પોલીસ સારી કામગીરી કરી રહી છે જ્યારે 50 ટકા કરતાં વધુ એમ માને છે કે પોલીસ 30 વર્ષ પહેલાં કરતી હતી તેનાથી સૌથી બદતર કામગીરી હાલ કરી રહી છે.