બ્રિટનમાં દિવાળીની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ

- નીતિન મહેતા Wednesday 02nd December 2020 06:17 EST
 
 

યુકેના વડા પ્રધાનના નિવાસસ્થાન નં.૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બાજુમાં જ દેશના બીજા નંબરના સૌથી શક્તિશાળી રાજકારણીનું નિવાસસ્થાન છે. તેઓ યુવાન છે અને તેમનું નામ રિશિ સુનાક છે. તેઓ ચાન્સેલર ઓફ ધ એક્સચેકર છે. હોદ્દા પરના ટૂંક સમયમાં જ તેમણે કોવિડ -૧૯ને લીધે ઉભી થયેલી આર્થિક કટોકટીનો જે રીતે સામનો કર્યો તેનાથી દેશના લોકો પ્રભાવિત થયા છે.

પાર્લામેન્ટમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથેના સંબોધનમાં તેમણે બિઝનેસને અને જે લોકોની જોબ જોખમમાં મૂકાઈ હતી તેમને મદદરૂપ થવા સંખ્યાબંધ પગલાં જાહેર કર્યા હતા. રિશિનો જન્મ યુકેમાં થયો હતો. તેમના પેરન્ટ્સ કેન્યાના છે. અન્ય હજારો લોકોની માફક તેમના પેરન્ટ્સે પણ કેન્યાથી ભારત સ્થળાંતર કર્યું હતું. તે પછી તેઓ યુકે આવ્યા હતા.

દિવાળીના પ્રસંગે રિશિ સુનાક ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટના તેમના નિવાસસ્થાનના દરવાજા બહાર આવ્યા હતા અને રંગોળી પૂરી હતી તેમજ ચાર દીપ પ્રગટાવ્યા હતા. તે પછી તેઓ ઘરમાં પાછા ગયાં. તેમનું આ કૃત્ય પ્રતીકાત્મક હતું અને ગાંધીજીએ સત્યાગ્રહ ચળવળ શરૂ કરવા માટે ચપટી મીઠું લીધું હતું તેના જેટલી તેની અસર થઈ હતી. ગ્રેટ બ્રિટનમાં બીજા સૌથી શક્તિશાળી હોદ્દા પર બિરાજમાન એક ભારતીય દિવાળીના દીપ પ્રગટાવે તે ઘટના પરથી વિન્સ્ટન ચર્ચિલ શું તારણ કાઢે ? ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી કોઈએ પણ ક્યારેય વિચાર્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે તેમના વંશજો તેમના પર ૨૦૦ વર્ષ સુધી શાસન કરનારા દેશની તિજોરી સંભાળશે ? પરંતુ, આ વાત માત્ર રિશિ સુનાક સુધી સીમિત નથી. હોમ સેક્રેટરીનો મહત્ત્વનો હોદ્દો સંભાળતા પ્રીતિ પટેલ પણ યુગાન્ડન-ઈન્ડિયન પેરન્ટ્સનું સંતાન છે. નવું પ્રભાત ઘણાં દેશોના સંચાલનમાં ઈન્ડિયન ડાયસ્પોરા મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે તેનું સાક્ષી છે. યજમાન દેશો સાથે તેઓ ખૂબ હળીમળી જાય છે તે તેમની સફળતાનું રહસ્ય છે. તેઓ તેમના મૂલ્યો અન્ય લોકો પર થોપવાનો પ્રયાસ કરતા નથી અને વફાદાર નાગરિક બનીને રહે છે. વડા પ્રધાન બોરિસ જહોન્સન અને પ્રિન્સ ચાર્લ્સના દિવાળી સંદેશા વિદેશમાં ભારતીયોની આ હકારાત્મક છબીની સાક્ષી પૂરે છે. બોરિસ જહોન્સને હિંદુઓ, શીખો અને જૈનોએ મહામારી દરમિયાન જે પ્રતિભાવ દર્શાવ્યો તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે ગરીબો અને હોસ્પિટલ સ્ટાફને મફત ભોજન વિતરણ, ભારતીય ડોક્ટરો અને અન્ય પ્રોફેશનલ્સની ભૂમિકા પ્રેરણારૂપ હતી. ભગવાન રામ અને તેમના પત્ની સીતાએ અનિષ્ટ તત્ત્વોને પરાજય આપ્યો તેમ આપણે આ મહામારીને હરાવી દઈશું.

પ્રિન્સ ચાર્લ્સે તેમના સંદેશામાં જણાવ્યું કે હિંદુ, શીખ અને જૈન કમ્યુનિટીની ઉદારતાથી તેઓ ખૂબ લાગણીશીલ બની ગયા હતા. તેમણે ઉમેર્યું કે ભારતીય કમ્યુનિટી દેશ માટે અનિવાર્ય છે. તેમણે કમ્યુનિટીની અંતઃકરણપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે તેમનો સંદેશ એક કેન્ડલ પ્રગટાવીને પૂરો કર્યો હતો.

પ્રાચીન સમયમાં ભારતીયોએ તેમની સંસ્કૃતિને દુનિયાના લગભગ તમામ ખંડ સુધી વિસ્તારી હતી. નવું અડગ ભારત અને વિદેશમાં વસતો વિશાળ ઈન્ડિયન ડાયસ્પોરા પણ તેવું કરી શકે તેમ છે. એટલે કે તેમની પ્રાચીન વીરાસતમાં જે શ્રેષ્ઠ છે તે તેમણે દુનિયા સાથે શેર કરવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter