લંડનઃ કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં ૨૮૧ જેટલા લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે ૫૬૮૩થી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને કારણે બ્રિટનમાં આર્થિક સંકટ પણ સર્જાયું છે. જેનો સામનો કરવા માટે બ્રિટનના ભારતીય મૂળના નાણાંમંત્રી રિશિ સુનાકે જે રીતે રજુઆત કરી કે નાગરિકો તેમની પ્રશંસા કરી રહ્યાં છે. આર્થિક સંકટ વચ્ચે નાગરિકોને ખાતરી આપતા તેમણે કહ્યું કે અમે અમારા લોકો સાથે ઉભા રહીશું અને અમે તે માટે મક્કમ છીએ. તમે એકલા નથી.
ભારતીય મૂળના સુનાકે કહ્યું કે આ પડકારનો સામનો કરવો હશે તો આખા દેશે એક સાથે મળીને પ્રયાસ કરવો પડશે. તેમના આ શબ્દો બ્રિટનવાસીઓને એટલા પસંદ આવ્યા છે કે થોડીવારમાં જ સોશ્યલ મીડિયામાં રિશિ સુનાક ફોર પીએમ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
સુનાકે જાહેરાત કરી છે કે સરકાર એ કર્મચારીઓને પણ વેતન આપશે જેઓ કોરોનાને કારણે સર્જાયેલી ખરાબ પરિસ્થિતિને કારણે કામ કરવા અસમર્થ છે. વેતનનો ૮૦ ટકા ભાગ ચૂકવવામાં આવશે. કંપનીઓને આ રકમ ત્યારે જ મળશે જ્યારે તે આવા કર્મચારીઓને પાછા નોકરીએ રાખશે.
સોશ્યલ મીડિયામાં મોટાભાગના લોકોએ સુનાકની યોજનાને આવકાર આપ્યો તો કેટલાકે તેની આલોચના પણ કરી હતી. આલોચના કરનારાઓએ જણાવ્યું કે આ યોજના નાગરિકોને આકર્ષે છે પણ સામાન્ય લોકોને તેનો લાભ નહિ મળે. એક યુઝર્સે લખ્યું કે સુનાકે ભાડેથી રહેનારાઓ કે સ્વરોજગાર કરનારાો માટે કોઇ વિશેષ રાહતની જાહેરાત કરી નથી. રીચમન્ડના સાંસદ રિશિ સુનાક ભારતીય કંપની ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણમૂર્તિના જમાઈ છે.