લંડનઃ ભારતમાં કોરોનાના ખાસ કરીને એન્ટિજન ટેસ્ટની સત્યતા વિશે, શંકા સેવાય છે. શરૂઆતમાં કેટલીક સરકારી હોસ્પિટલમાં કોઈ દર્દી સાજા હોય પરંતુ સ્વજનોને તેમના મૃત્યુનો મેસેજ મળે અને દર્દી સ્વસ્થ થઈને ઘરે ગયા હોય એવા બધા મેસેજિંગ એરરના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. પંરતુ, આ બાબતે બ્રિટનના સરકારી તંત્ર દ્વારા પણ છબરડા થાય છે. NHSએ ૧૩૦૦ લોકોને ભૂલથી તેઓ કોરોના પોઝિટિવ હોવાના ખોટા મેસેજ આપી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારના હેલ્થ એન્ડ સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટે કરેલી કબૂલાત મુજબ NHS ની ટેસ્ટ એન્ડ ટ્રેક સિસ્ટમ દ્વારા એક લેબોરેટરી એરર સર્જાઈ હતી. તેના કારણે ટેસ્ટ કરાવનારા લોકોને ખોટો મેસેજ અપાઈ ગયો હતો. આ લોકોએ ગઈ ૧૯થી ૨૩ નવેમ્બર વચ્ચે ટેસ્ટ કરાવ્યા હતા. NHS દ્વારા કુલ ૧૩૧૧ લોકોને તેઓ કોરોના પોઝિટીવ હોવાનું જણાવાયું હતું.
આ છબરડા અંગે સરકારી રાહે તપાસના આદેશો પણ અપાયા છે. બ્રિટિશ સરકારે NHSની ટ્રેક એન્ડ ટેસ્ટ સિસ્ટમ માટે સાત બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. પરંતુ, આ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી તેમાં એક પછી એક છબરડા સર્જાતા રહ્યા છે. સરકારે વારંવાર કબૂલ્યું છે કે આ સિસ્ટમ જોઈએ તેટલી સંતોષકારક રીતે કામ કરતી નથી. હજુ ગયા સપ્ટેમ્બરમાં આ સિસ્ટમમાં ૧૬ હજાર પોઝિટિવ કેસનો ડેટા ઉડી ગયો હતો. તેના કારણે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી શકાયા ન હતા.