બ્રિટિશ અને ભારતીય પરિવારો માટે હૃદયદ્રાવક દુર્ઘટનાઃ વડાપ્રધાન સ્ટાર્મર

અમે ભારતના સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળી કામ કરી રહ્યાં છીએઃ ડેવિડ લેમી

Tuesday 17th June 2025 12:11 EDT
 
 

લંડનઃ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે સર્જાયેલી દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રવાસીઓ માટે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ઘણા બ્રિટિશ અને ભારતીય પરિવારો માટે ખરેખર હૃદયદ્રાવક હતો. હું આ કરૂણાંતિકાથી અસરગ્રસ્ત તમામ પરિવારોને મારા સાચા હૃદયથી દિલસોજી પાઠવું છું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે અને અમે એક તપાસ ટીમ ભારત મોકલી આપી છે. ફોરેને સેક્રેટરી ડેવિડ લેમી આ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. અમે દુર્ઘટનાના કારણોની તપાસ કરવા ભારતીય સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યાં છે.

યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ પણ પ્લેન ક્રેશ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે ભારતના સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ જેથી દુર્ઘટનાના સાચા કારણો સુધી પહોંચી શકાય. કરૂણાંતિકાના અસરગ્રસ્તો સાથે મારી સંવેદનાઓ છે.

અમદાવાદ કરૂણાંતિકાની તપાસમાં મદદ કરવા યુકેએ નિષ્ણાતોની ટીમ ભારત મોકલી

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં મદદ કરવા યુકે નિષ્ણાતોની ટીમ ભારત મોકલી છે. યુકે એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને તપાસમાં સહાય કરવા ઓફર આપી છે. બ્રાન્ચે જણાવ્યું હતું કે, અમે ભારતીય નેતૃત્વમાં થઇ રહેલી તપાસમાં મદદ કરવા નિષ્ણાતોની એક ટીમ ભારત મોકલી રહ્યાં છીએ. લંડનના ગેટવિક એરપોર્ટના સત્તાવાળાએ જણાવ્યું હતું કે અમે વિમાનક્રેશમાં માર્યા ગયેલા પ્રવાસીઓના સંબંધીઓને મદદ કરવા એર ઇન્ડિયા સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter