લંડનઃ યુકેમાં વસતો ભારતીય સમુદાય તેના પર લગાવાતા સાઉથ એશિયનના લેબલથી ઘણો નારાજ છે. યુકેમાં વસતા ભારતીય મૂળના લોકોની દલીલ છે કે ભારતીય સંસ્કૃતિ તદ્દન અલગ, વૈવિધ્યપૂર્ણ અને અદ્વિતિય છે. અમને બાંગ્લાદેશી અને પાકિસ્તાની સાથે સાંકળવા જોઇએ નહીં.
ઇનસાઇટ યુકે દ્વારા બ્રિટિશ હિન્દુ અને ભારતીયોની આ સામાજિક ચળવળ ગણાવી છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિટિશ ભારતીયોને સાઉથ એશિયનનું લેબલ કેમ ગમતું નથી તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
ઇનસાઇટ યુકેએ જણાવ્યું છે કે પશ્ચિમી મીડિયા અને વિદ્વાનો દ્વારા વારંવાર ભારતીયોને સાઉથ એશિયન ગણાવવામાં આવે છે. તેનાથી ભારતીય સંસ્કૃતિની અલગ ઓળખ ધુમિલ બને છે. ભારત વિવિધ ભાષાઓ ધરાવતી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. ભારતની પરંપરાઓ અને રિવાજો વૈવિધ્યપૂર્ણ છે જે તેને દક્ષિણ એશિયાના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોથી અલગ પાડે છે.
યુકેમાં ભારતીય મૂળના 2 મિલિયન લોકો વસવાટ કરે છે. તેમને સાઉથ એશિયનની કેટેગરીમાં ગણવાથી ભારતના ઐતિહાસિક મહત્વને ઓછુ અંકાય છે અને જટિલ વાસ્તવિકતાઓની અવગણના થાય છે.