બ્રિટિશ વર્કર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા સરકારની અપીલ

એઆઇ નહીં અપનાવો તો તમારા સેક્ટરમાં પછાત રહી જશોઃ ટેકનોલોજી સેક્રેટરી

Tuesday 17th June 2025 12:35 EDT
 
 

લંડનઃ ટેકનોલોજી સેક્રેટરી પીટર કાયલેએ ચેતવણી આપી છે કે યુકેના વર્કર્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઇએ નહીંતર તેઓ પછાત રહી જશે. તેમણે કર્મચારીઓ અને બિઝનેસોને એઆઇમાં મહારથ હાંસલ કરવા માટે અઢી કલાકની જરૂરી તાલીમ લેવા અપીલ કરી છે.

ચેટજીપીટી જેવા એઆઇ ટૂલ્સના ઉદયના કારણે ટેકનોલોજીમાં મૂડીરોકાણમાં મોટો વધારો થયો છે પરંતુ તેની સામે કાયદાથી માંડીને ફાઇનાન્સિયલ સર્વિસિઝ જેવા સેક્ટરોમાં નોકરીઓ પણ અસરગ્રસ્ત થઇ રહી છે.

જોકે, કાયલેએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે મોટાભાગના લોકો આ મામલામાં ગભરાટ સાથે શરૂઆત કરી રહ્યાં છે પરંતુ એકવાર તેઓ એઆઇનો ઉપયોગ શરૂ કર્યા બાદ તેમનો આ ગભરાટ ઉત્સાહમાં તબદિલ થઇ જાય છે. કારણ કે તે લોકોની ધારણા કરતાં ઘણું સરળ છે, અને તે લોકોની અપેક્ષા કરતાં ઘણું વધારે ફળદાયી છે.

કાયલેએ જણાવ્યું હતું કે, સરકાર ઇન્ડસ્ટ્રી સાથે મળીને 2030 સુધીમાં 7.5 મિલિયન બ્રિટિશ વર્કર્સને તાલીમ આપવા માગે છે. આ બ્રિટનના વર્કફોર્સના પાંચમા ભાગના કર્મચારીઓ છે. આગામી પાંચ વર્ષમાં જરૂરી કુશળતા હાંસલ કરવામાં કોઇ કર્મચારી અક્ષમ નથી.

એઆઇનો ઉપયોગ કરી ચિટિંગ કરતા હજારો વિદ્યાર્થી ઝડપાયાં

યુકેમાં હજારો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ તાજેતરના વર્ષોમાં ચેટજીપીટી અને અન્ય એઆઇ ટૂલ્સનો દુરુપયોગ કરતાં ઝડપાયાં છે. 2023-24માં એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરીને ચિટિંગ કરવાના 7000 કેસ નોંધાયાં હતાં. જોકે નિષ્ણાતો કહે છે કે રેકોર્ડ થયેલા કેસ તો હિમશિલાની ટોચ સમાન હોઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter