લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમનું પ્રથમ સંપૂર્ણ બજેટ છ નવેમ્બરે જાહેર કરવા ચાન્સેલર સાજિદ જાવિદને લીલી ઝંડી આપી દીધી છે. યુકે ૩૧ ઓક્ટોબરે ઈયુ છોડે તેના એક સપ્તાહ પછી બજેટ જાહેર કરવામાં આવશે. જ્હોન્સનના વડા પ્રધાનપદે પ્રથમ ક્વીન્સ સ્પીચના ગણતરીના કલાકો પહેલા આ જાહેરાત કરાઈ છે.
ઈયુ સાથે સમજૂતી થશે કે નહિ તેની અવઢવ મધ્યે આ જાહેરાત આવી છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સને સમજૂતી ન થાય તો ૩૧ ઓક્ટોબરની તારીખ પાછળ ઠેલાશે તે વિશે કશું સ્પષ્ટ કહેવા ઈનકાર કર્યો છે. જોકે, બળવાખોર સાંસદો દ્વારા પસાર કરાયેલા બેન લોમાં તેમને ત્રણ મબિનાનો વિલંબ માગવા આદેશ કરાયેલો છે.
ચાન્સેલર સાજિદ જાવિદે જણાવ્યું હતું કે,‘ઈયુ છોડ્યા પછીનું આ પ્રથમ બજેટ હશે. હું ભવિષ્યના અર્થતંત્રને આકાર આપવા અમારી યોજનાઓ જણાવીશ અને આપણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિનો આરંભ કરાવીશ.’