લંડનઃ બ્રેડફોર્ડના એક મદ્રેસાને મસ્જિદમાં રૂપાંતરિત કરવાની યોજનાને પ્લાનિંગ કમિટીએ નકારી દીધી છે.થોર્નબરીના વૂડહોલ એવન્યુ પર સ્થિત અનવર-ઉલ-ઇસ્લામ 2012થી મદ્રેસા તરીકે તરીકે કાર્યરત છે.
અરજદારોએ જણાવ્યું હતું કે મસ્જિદનો ઉપયોગ મહત્તમ 50 લોકો જ કરશે, પરંતુ લગભગ 200 લોકોના હસ્તાક્ષર સાથેના સમર્થન પત્રમાં દર્શાવાયું હતું કે વાસ્તવિક લોકોની સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બ્રેડફોર્ડ કાઉન્સિલે અરજીને નકારી દીધી છે કારણ કે પ્લાનિંગ અધિકારીઓએ સ્થળ પર પાર્કિંગની અછત અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સંભવિત ઘોંઘાટ સ્થાનિક રહેવાસીઓને અસર કરી શકે છે.
કાઉન્સિલે 2012માં આ ઇમારતને ધાર્મિક શિક્ષણ કેન્દ્રમાં ફેરવવાની મંજૂરી આપી હતી, પરંતુ એક શરત હતી કે આ ઇમારતનો ઉપયોગ માત્ર શિક્ષણ માટે જ થઈ શકે અને મસ્જિદ તરીકે નહીં. અરજદાર મોહમ્મદ કાશિફ અલી એ ગયા વર્ષે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરને 50 નમાઝી માટે મસ્જિદમાં ફેરવવાની મંજૂરી માટે અરજી કરી હતી.

