લંડનઃ પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ (PwC)ની આગાહી છે કે ૨૦૧૯માં બ્રેક્ઝિટ પછી યુકેનું અર્થતંત્ર ભારત અને ફ્રાન્સના અર્થતંત્રોથી પાછળ સાતમા ક્રમે ધકેલાશે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં બ્રિટન અત્યારે પાંચમા ક્રમે છે, જો નો-ડીલ બ્રેક્ઝિટને ટાળી શકાય તો બ્રિટનના અર્થતંત્રની વૃદ્ધિ ૨૦૧૯માં ૧.૬ ટકાના દરે રહેશે, જ્યારે ફ્રાન્સ ૧.૭ ટકા અને ભારત ૭.૬ ટકાના દરે વૃદ્ધિ મેળવશે. વિશ્વના અર્થતંત્રોમાં યુએસ પ્રથમ, ચીન બીજા, જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે.
PwCની આગાહી છે કે ભારત તેના વર્તમાન સાતમા ક્રમથી પાંચમા ક્રમે પહોંચશે અને ફ્રાન્સ તેનો છઠ્ઠો ક્રમ જાળવી રાખશે. બ્રિટનનું અર્થતંત્ર ધીમું પડ્યું છે અને પાઉન્ડના મૂલ્યમાં ૨૦૧૬ પછી ઘટાડો થતો રહ્યો છે. PwCના અર્થશાસ્ત્રી માઈક જેકમેનનું કહેવું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસતું અર્થતંત્ર છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ મુજબ સંભવિત વેપારખર્ચાના લીધે રેફરન્ડમ પછી યુકેમાં મજબૂત ઈન્વેસ્ટમેન્ટ્સ પર નકારાત્મક અસરો પડી છે.
બ્રિટિશ કેબિનેટ નો-ડીલ બ્રેક્ઝિટની તાકીદની તૈયારીઓના ભાગરુપે લશ્કરને સ્ટેન્ડબાય રહેવા, ઈમર્જન્સી સપ્લાય માટે ફેરીની જગ્યાઓ અનામત રાખવા તેમજ દેશના પરિવારોને સાવધ કરવા આદેશ આપ્યો છે ત્યારે આ આગાહી આવી છે. વડા પ્રધાન થેરેસા પોતાની બ્રેક્ઝિટ સમજૂતીને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે પણ બેક-અપ પ્લાન્સ માટે બિલિયન્સ પાઉન્ડ ખર્ચવાનો નિર્ણય પણ લઈ લેવાયો છે.