લંડનઃ ભારત અને યુકે વચ્ચે હંગામી કર્મચારીઓના સોશિયલ સિક્યુરિટી યોગદાન પર મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના મહત્તમ 36 મહિના સુધીના સમયગાળા માટે એકબીજાના દેશમાં કામચલાઉ અસાઇનમેન્ટ પર કામ કરતા કર્મચારીઓને ડબલ સોશિયલ સિક્યુરિટી કન્ટ્રિબ્યુશનમાંથી મુક્તિ આપવાનો છે. આ સમજૂતીથી ટૂંકા ગાળા માટે વિદેશી અસાઇનમેન્ટ પર જતા કર્મચારીઓની મોબિલિટી સરળ બનશે અને તેમની સામાજિક સુરક્ષાનું કવચ પણ જળવાઈ રહેશે.
આ કરાર ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારનો એક ભાગ છે અને તે વ્યાપક આર્થિક વેપાર સમજૂતીની સાથે જ અમલમાં આવશે.


