નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહમાં યુકેના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિન સાથે મુલાકાત કરી ઓપરેશન સિંદુર બાદ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી.
ભારત અને યુકેના ટોચના સંરક્ષણ અધિકારીઓએ નવી દિલ્હીમાં આઇડીએસના મુખ્યમથક ખાતે દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અને ક્ષમતા મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. મુલાકાતમાં હિંદ મહાસાગરમાં સંરક્ષણ ભાગીદારી વિસ્તારવા અને મેરીટાઇમ સહકારમાં વધારો કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરાઇ હતી.
બીજીતરફ નવી દિલ્હીમાં બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના અંડર સેક્રેટરી સર ઓલિવર રોબિન્સ અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી વચ્ચે મુલાકાત યોજાઇ હતી જેમાં યુકે અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરાઇ હતી.