લંડનઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ ભારત ખાતે પ્રત્યર્પણથી બચવા માટે હવે કાયદાકીય લડાઈના અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. બ્રિટનની અદાલતોમાં તમામ વિકલ્પો નિષ્ફળ ગયા બાદ, નીરવ મોદીએ હવે ફ્રાન્સના સ્ટ્રસબર્ગ સ્થિત યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR) માં અરજી દાખલ કરી છે.
અહેવાલો અનુસાર ECHR એ આ કેસમાં નીરવ મોદીને એનોનિમિટીની પરવાનગી આપી છે, જેનો અર્થ છે કે હવે આ કેસની સુનાવણી જાહેર જનતાની નજરથી દૂર અત્યંત ગોપનીય રીતે કરવામાં આવશે. નીરવ મોદીએ તેની અરજીમાં એવી દલીલ કરી છે કે જો તેને ભારત મોકલવામાં આવશે, તો ત્યાં તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે અને તેને અમાનવીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
જો યુરોપિયન કોર્ટ આ અરજીને ફગાવી દેશે, તો નીરવ મોદીને ભારત લાવવા માટેના તમામ કાનૂની અવરોધો દૂર થઈ જશે અને તેને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે 55 વર્ષીય નીરવ મોદી માર્ચ 2019 થી લંડનની જેલમાં કેદ છે.


