લંડનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને પગલે બ્રિટનમાં વસતા ભારતીય અને પાકિસ્તાની સમુદાયોએ હાશકારો અનુભવ્યો હતો. ભારત અને પાકિસ્તાન પૂર્ણકક્ષાના યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં હોવાના સંકેતોના કારણે બંને સમુદાયો વતનમાં વસતા તેમના પરિવારો માટે ઘણા ચિંતિત હતા. આ માટે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બંને સમુદાયના લોકોએ એકઠાં મળી શાંતિની અપીલ કરી હતી.
26 વર્ષીય રમણે જણાવ્યું હતું કે હું ભારતથી આવ્યો છું અને અમારો પરિવાર સરહદની ઘણી નજીક રહે છે. યુદ્ધવિરામથી આનંદ થયો નહીંતર અમે સતત ચિંતામાં જીવતા હતા. હું 3 રાતથી સૂઇ શક્યો નહોતો અને સતત ફોન ચેક કર્યા કરતો હતો.
74 વર્ષીય નસરીન રહેમાને જણાવ્યું હતું કે, યુદ્ધવિરામની ઘોષણાથી રાહત મળી છે. આપણે એક એવી હોનારત અટકાવી શક્યાં છીએ જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થતી. આપણે માનવી છીએ. આપણે ઇતિહાસ અને ભવિષ્યમાં સહભાગી છીએ.
27 વર્ષીય રાજીવ સિનાહે જણાવ્યું હતું કે, ભારત, પાકિસ્તાન અને કાશ્મીરના લોકોને શાંતિ સિવાય કશું જોઇતું નથી. તેઓ પોતાની જિંદગી જીવવા માગે છે. તેઓ જીવનો, રોજગાર અને પરિવાર ગૂમાવવા માગતા નથી.
36 વર્ષીય તરૂણ ગિડવાણીએ જણાવ્યું હતું કે, યુદ્ધવિરામથી મોટી રાહત તો મળી છે પરંતુ હજુ તણાવ પ્રવર્તી રહ્યો છે. સ્થિરતા માટેનો કોઇ રોડમેપ જાહેર કરાયો નથી. શકુંતલા બાનાજીએ જણાવ્યું હતું કે, આશા છે કે યુદ્ધવિરામનું પાલન કરાશે. તે બંને દેશના હિતમાં છે.