લંડનઃ બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા સાથે પહેલી ફેબ્રુઆરીથી બિનસભ્ય વેપાર ભાગીદાર બનશે. બ્રિટનમાં વેપાર કરનાર ભારતીય વેપારી સમુદાયે બ્રેક્ઝિટને આવકાર આપ્યો છે તેમજ જેઓને ભારતમાં પોતાનો વેપાર વધારવો છે તેમના માટે પણ અનેક તક સર્જાશે.
ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધીના સત્તાવાર સંક્રાંતિકાળનો અર્થ એ છે કે યુકે અને યુઈ વચ્ચેના વેપારમાં યથાવત સ્થિતિ રહેશે પરંતુ, બ્રિટનને સમગ્ર વિશ્વમાં નવા વેપારકરાર અને નવા ભાગીદારો શોધવા માટે પસંદગીની અનેક તક મળશે. અગ્રણી વેપારી સંગઠનો અને ભારતીય ઉદ્યોગપતિઓ માને છે કે વર્તમાન પરિસ્થિતિ ભારત-બ્રિટન વચ્ચેના વેપારને અને આર્થિક ભાગીદારીને એક નવા સ્તરે લઈ જશે.
મૂળ ભારતીય ઉદ્યોગપતિ અને એક કોબ્રા બિયર કંપનીના માલિક અને બ્રિટનમાં વેપારી વર્ગનો અસરકારક અવાજ ધરાવતા કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ લોર્ડ કરણ બિલિમોરીઆએ જણાવ્યું હતું કે, બ્રિટન યુરોપિયન સંઘની બહાર આવી પોતાના ભાવિ માટે એક નવો જ માર્ગ અપનાવે છે ત્યારે ભારત એનો મહત્ત્વનો ભાગીદાર દેશ હશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ભારતમાં કાર્યરત બ્રિટિશ કંપનીઓ માટે માળખાકીય સુવિધાઓથી લઈ આરોગ્ય ક્ષેત્ર અને નાણાકીય ટેકનોલોજીમાં રોકાણ અને સોનેરી તક મળી છે.