લંડનઃ ભારતમાં નવો મ્યુટન્ટ કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવી રહ્યો હોવાથી યુકે દ્વારા તેને ફ્લાય રેડ લિસ્ટમાં મૂકાયું છે તેનો અમલ શુક્રવાર ૨૩ એપ્રિલની સવારથી થવાનો છે. આ પ્રતિબંધના પરિણામે હજારો પ્રવાસીઓ ભારતથી ઈંગ્લેન્ડ પાછા ફરશે તેવો ભય સર્જાયો છે. યુકે સરકારે નિર્ણય લેવામાં ભારે વિલંબ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વડા પ્રધાન જ્હોન્સને ભારે દબાણ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બનાવવા માટેની ભારત મુલાકાત રદ કર્યાના ગણતરીના કલાકોમાં ભારતને રેડ લિસ્ટમાં મૂકાયું હતું. આના પરિણામે સમયમર્યાદા અગાઉ જ ભારતથી ઈંગ્લેન્ડ પહોંચી જવા હજારો બ્રિટિશ અને આઈરિશ પ્રવાસીઓ ઉમટી પડશે તેવો ભય સર્જાયો છે. આ સમયમર્યાદા પછી બ્રિટિશ અને આઈરિશ પ્રવાસીઓએ ૧૦ દિવસ ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈનમાં સ્વખર્ચે રહેવાનું થશે.
પ્રતિબંધની સમયમર્યાદા પહેલા ભારતથી ૧૬ ડાયરેક્ટ ફ્લાઈટ્સ યુકે આવશે તેમજ અનેક ઈનડાયરેક્ટ ફ્લાઈટ્સ પણ છે દરમિયાન, હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના અધ્યક્ષા ઈવેટ કૂપરે જણાવ્યું હતું કે ૧૦ દિવસ અગાઉ નીચો અને ધીમો સંક્રમણદર ધરાવતા બાંગલાદેશ અને પાકિસ્તાન સહિતના દેશોને રેડ લિસ્ટમાં અપડેટ કરાયા ત્યારે જ ભારતને રેડ લિસ્ટમાં મૂકી દેવાની જરુર હતી. તેમણે વિલંબ બદલ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે હોંગ કોંગમાં દિલ્હીની એક ફ્લાઈટમાં જ ૪૭ કોવિડ સંક્રમિત કેસ જોવાં મળ્યા હતા.