લંડનઃ બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રની તકો વિશે ચર્ચા કરવા માટે ઈન્ડો- બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ વીરેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ આઠ સાંસદો અને ઉમરાવોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયું છે. મુખ્ય ક્ષેત્રોમાં વેપાર અને સહકાર વધારવાની શક્યતાની ચર્ચા માટે આ પ્રતિનિધિમંડળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન અરુણ જેટલીની મુલાકાત લીધી હતી.
આ સાંસદોમાં જોનાધન રેનોલ્ડ્સ, શાર્લોટ લેસ્લી, એડવર્ડ આર્ગર, ઓલિવર ડાઉડેન, મેરી રિમર, બોબ બ્લેકમેન, લોર્ડ નોર્થબ્રુકનો સમાવેશ થાય છે. તે અગાઉ તેઓ સરકાર અને સંસદના અગ્રણી સભ્યોને મળ્યા હતા. ક્વીન દ્વારા આ મહિનાના અંત ભાગમાં બકિંગહામ પેલેસમાં ઈન્ડો-બ્રિટિશ યર ઓફ ધ કલ્ચરના સત્તાવાર આરંભ પ્રસંગે અરુણ જેટલી યુકેની મુલાકાતે આવશે. આ પ્રતિનિધિમંડળની મુલાકાતનું આયોજન લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા કરાયું હતું.