લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હાઉસ ઓફ કોમન્સમાં ભારતના ઓપરેશન સિંદુરનું સમર્થન કરતાં ભારતના સ્વરક્ષણના અધિકારને યોગ્ય ઠરાવ્યો હતો. કોમન્સમાં બોલતાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાંથી જ મળી આવ્યો હતો.
પટેલે જણાવ્યું હતું કે આ અત્યંત ગંભીર પળો છે. આપણે ઇચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટે. જેથી બંને દેશ વચ્ચેની લશ્કરી અથડામણ ટાળી શકાય. આપણે એ મામલે પણ સ્પષ્ટ હોવું જોઇએ કે આતંકવાદી માળખાનો નાશ કરીને આત્મરક્ષા માટે પગલાં લેવાનો ભારતને અધિકાર છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ભારત અને પશ્ચિમના હિતો માટે પડકારજનક છે.