લંડનઃ કિંગ ચાર્લ્સે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બંને દેશ વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ભારતની જનતાને પોતાના અને ક્વીન કેમિલા વતી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
મુર્મુને પાઠવેલા પત્રમાં કિંગ ચાર્લ્સે ભારત અને યુકે વચ્ચે મજબૂત બની રહેલી ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોના મૂળમાં સહિયારા મૂલ્યો અને પરસ્પરનું સન્માન રહેલાં છે. કિંગ ચાર્લ્સે સમગ્ર વિશ્વમાં સમજણ, સહકાર અને તકો વધારવામાં કોમનવેલ્થ દેશોની ભુમિકાની પણ પ્રશંસા કરી હતી.
કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ સમૃદ્ધ વૈવિધ્યતા ધરાવે છે અને તેની યુવા પેઢીઓની ઉર્જા આશા અને પ્રગતિ પ્રેરિત કરે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ મધ્યે આપણે સામુહિક શક્તિ અને એકતા વધુ મહત્વનાં છે.
કિંગ ચાર્લ્સે ક્લીન એનર્જી માટેના પગલાં દ્વારા પર્યાવરણની જાળવણીમાં ભારત અને યુકે વચ્ચેની મજબૂત બનતી ભાગીદારીને પણ આવકારી હતી. તેમણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ લીડરશિપની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વના સેક્ટર માટે ભારત એક મજબૂત વૈશ્વિક અવાજ છે.

