લંડનઃ યુકેની હાઇ કોર્ટે ભારતમાં પ્રત્યર્પણ વિરુદ્ધ ભાગેડુ હીરા બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથે ૨ બિલિયન ડોલર (૧૩૫૦૦ કરોડ રૂપિયા)ના કૌભાંડના આરોપી નિરવ મોદીની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટેના ચુકાદા વિરુદ્ધ અપીલની પરવાનગી માગતી અરજી ફગાવી દીધી છે. લંડન હાઈ કોર્ટ અપીલને ફગાવતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના ચુકાદાની વિરુદ્ધ અરજી કરવાનો કોઈ આધાર જ નથી.
નિરવ મોદીએ ભારતને પ્રત્યર્પણ કરવાના ચુકાદા સામે લંડન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇ કોર્ટે અરજી ફગાવી દેતા નીરવ મોદી પ્રથમ તબકકાની લડાઇ હારી ગયો છે. હવે મૌખિક સુનાવણી કરવા માટે ફરીથી અપીલ કરવા માટે તેની પાસે હવે પાંચ જ દિવસનો સમય બાકી છે અને મોદી આ અરજી કરશે.
લંડન હાઈ કોર્ટના જજે અપીલ માટે રજૂ કરાયેલા દસ્તાવેજો પરથી નિર્ણય લીધો છે કે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે મોદીના ભારત પ્રત્યર્પણના પક્ષમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટેના ફેબુઆરીના નિર્ણય તેમજ હોમ સેક્રેટરીના આદેશની વિરુદ્ધ અપીલ કરવાનો કોઈ અધિકાર નથી. નિરવે ભારતમાં સારી રીતે કેસ ન ચાલવા અને રાજકીય કારણોસર નિશાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં જેલોની સ્થિતિ ખરાબ છે અને મારી વિરુદ્ધના પુરાવાઓ નબળા છે.
હવે લંડન હાઈ કોર્ટના ચુકાદાથી ૫૦ વર્ષીય નિરવ મોદીનો ભારત આવવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. આમ છતાં, નિરવ પાસે અપીલની સંપૂર્ણ સુનાવણી કરવા જજને વિનંતી કરવાના પાંચ કામકાજી દિવસ છે. જો મૌખિક સુનાવણીમાં તેની વિનંતી માન્ય રખાય તો સુનાવણી આગળ ચાલી શકે છે.ભારતીય સત્તાવાળા તરફથી કોર્ટમાં પેરવી કરતી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ દ્વારા જણાવાયું હતું કે તેઓ કાર્યવાહીના બીજા તબક્કાની રાહ જૂએ છે. જો અપીલની પરવાનગી અપાશે તો અમે તેને પડકારીશું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની ૧૫ એપ્રિલે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ નિરવ મોદીના ભારતને પ્રત્યર્પણને મંજૂરી આપી હતી.
આ અગાઉ ૨૫ ફેબ્રુઆરીએ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ સીબીઆઈ દ્વારા મૂકાયેલા તમામ આરોપો બાબતે પ્રથદર્શી કેસ બનતો હોવાનું જણાવી પ્રત્યર્પણનો ચુકાદા આપ્યો હતો જેને, નિરવ મોદીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો.
નિરવ મોદી સામે બે ક્રિમિનલ કાર્યવાહી છે. એક કેસ PNB સાથે છેતરપિંડી દ્વારા લોન મેળવવાનો સીબીઆઈ હસ્તકનો કેસ છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) હસ્તકનો કેસ આ રીતે મેળવેલા નાણાના મનીલોન્ડરિંગ સંબંધિત છે.કૌભાંડ બહાર આવ્યા પછી નિરવ જાન્યુઆરી ૨૦૧૮માં દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. સાઉથ-વેસ્ટ લંડનથી ૧૯ માર્ચ ૨૦૧૯ના રોજ તેની ધરપકડ કરાયા પછી વોન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે.