લંડનઃ ભાગેડૂ આર્થિક અપરાધી ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીએ ભારત ખાતે પ્રત્યર્પણ અટકાવવા ફરી એકવાર પ્રયાસ કરતાં યુકેની હાઇકોર્ટમાં પ્રત્યર્પણનો કેસ ફરી એકવાર ખોલવાની પરવાનગી માગી છે. નીરવ મોદીએ દાવો કર્યો છે કે જો મને ભારત પરત મોકલાશે તો મારા પર અત્યાચાર થવાનું વાસ્તવિક જોખમ રહેલું છે. લંડન હાઇકોર્ટમાં આ અંગેની સુનાવણી સમાપ્ત થઇ છે અને અદાલતે ચુકાદો અનામત રાખ્યો છે.
જસ્ટિસ લોર્ડ જેરેમી સ્ટુઅર્ટ સ્મિથે જણાવ્યું હતું કે, આ કેસ નીરવ મોદી અને ભારતથી અત્રે આવેલા અધિકારીઓ માટે અત્યંત મહત્વનો છે. અમે જેમ બને તેમ ઝડપથી ચુકાદો આપીશું.
નીરવ મોદી હાલ નોર્થ લંડન સ્થિત પેન્ટનવિલ જેલમાં કેદ છે અને સુનાવણીમાં વીડિયો લિન્કથી સામેલ થયા હતા. નીરવ મોદીના વકીલોએ અદાલતને જણાવ્યું હતું કે, નીરવ મોદીને ભારત પરત મોકલાશે તો ભારતીય એજન્સીઓ પૂછપરછ દરમિયાન તેમની સાથે અમાનવીય વ્યવહાર કરી શકે છે. તેમના પર અત્યાચારનું જોખમ રહેલું છે. અમને ભારત સરકારે આપેલા આશ્વાસન પર શંકા છે.


