લંડનઃ ભારતીય મૂળના એન્ટ્રેપ્રીન્યોર અને રીમેઈન કેમ્પેઈનર જિના મિલરે કાનૂની કાર્યવાહીમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના છક્કા છોડાવી દીધાં છે. પાર્લામેન્ટને પાંચ સપ્તાહ સુધી સસ્પેન્ડ કરવાના વડા પ્રધાનના નિર્ણય સામે લંડન હાઈકોર્ટમાં અપીલમાં પરાજય પછી જિના મિલરે હામ ગુમાવ્યા વિના સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના લોર્ડ ચીફ જસ્ટિસ સહિત ત્રણ વરિષ્ઠ જજે સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની કાનૂની સત્તા તેમની પાસે ન હોવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બેરોનેસ હેલે આ ચુકાદાને ઉલટાવી દીધો છે.
બ્રિટિશ ગુયાનામાં સાવિત્રી અને દૂધનાથ સિંહની પુત્રી જિના નાદિરા સિંહનો જન્મ થયો હતો. જિનાના પિતા પાછળથી ગુયાનાના એટર્ની જનરલ બન્યા હતા. સ્વતંત્ર ગુયાનામાં ઉછરેલી મિલરને ૧૦ વર્ષની વયે ઈંગ્લેન્ડમાં મોઈરા હાઉસ ગર્લ્સ સ્કૂલ અને રોએડીન સ્કૂલમાં અભ્યાસાર્થે મોકલી દેવાઈ હતી. ૨૦૧૭માં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને ખાસ મુલાકાતમાં જિના મિલરે જણાવ્યું હતું કે તેમના પરિવારના મૂળ પંજાબમાં હતા. પરંતુ, વર્ષોથી તેમને એટલું જ જાણવા મળ્યું છે કે તેમની માતાના પિતા (નાના) શીખ હતા, જેઓ ભારતથી વહાણમાં ગુયાના જવાની વાતો કહેતા હતા.
જિના મિલરને ૨૦૧૭માં એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સમાં ‘કેમ્પેઈનર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો. ૨૦૧૬માં પાર્લામેન્ટની બહાલી વિના ઈયુમાંથી બહાર નીકળવાના આર્ટિકલ-૫૦ નોટિફિકેશનને જારી કરવાના યુકે સરકારના નિર્ણયને કાનૂની પડકાર આપવા સાથે જિના પ્રકાશમાં આવી ગયાં હતાં. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૧૭માં તેમની તરફેણમાં ચુકાદો આપ્યા પછી તેઓ રીમેઈનર્સ છાવણીના લાડકાં બની ગયાં હતાં.
મંગળવારે વેસ્ટમિન્સ્ટરમાં કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીતમાં મિલરે જણાવ્યું હતું કે ‘ચુકાદાએ સાબિત કર્યું છે કે આપણો દેશ કાયદાના શાસનથી સંચાલિત છે જ્યાં, વડા પ્રધાન સહિત કોઈ પણ કાયદાથી પર નથી. આ ચુકાદો કોઈ વ્યક્તિ કે ઉદ્દેશ માટેનો વિજય નથી પરંતુ, સંસદીય પ્રભુતાનો વિજય છે. સત્તામંડળ અને બ્રિટિશ કોર્ટ્સની સ્વતંત્રતાને અલગ પાડતો ચુકાદો છે.’