લંડનઃ ગુજરાતના ભૂમાફિયા જયસુખ મૂળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઇંગ્લેડથી ભારત લાવવાના પ્રત્યર્પણ પ્રયાસોને આંચકો લાગ્યો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર આ મુદ્દા પર સુનાવણી હવે ૨૬ મે, ૨૦૨૨થી ૧૭ જૂન ૨૦૨૨ના ગાળા દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ એલિસન ગ્રિફિથ્સ સમક્ષ હાથ ધરાશે. જયેશ પટેલ ત્યાં સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે અને આગામી સુનાવણી સુધી તેને દર ૨૮ દિવસે વીડિયો લિંક મારફત કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
યુકેની કોર્ટમાં તેની સામેના પહેલા કેસની સુનાવણી પણ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨થી શરુ થશે. આ પછી, પ્રત્યર્પણ મુદ્દે ૨૬ મે, ૨૦૨૨થી ૧૭ જૂન ૨૦૨૨ના ગાળા દરમિયાન સુનાવણી કરાશે. તાજેતરમાં પ્રત્યર્પણ અંગે હાથ ધરાયેલી કોર્ટની કાર્યવાહીમાં જયેશ પટેલ સાઉથ-ઈસ્ટ લંડનની બેલમાર્શ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યો હતો. કોર્ટની કાર્યવાહીનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું.
જામનગરના વકીલ કિરીટ જોશીએ ખંડણી માંગવાના મુદ્દે જયેશ પટેલની સામે ક્રિમિનલ કેસ કર્યા હતા. આ ઘટના પછી કિરીટ જોશીની તેની ઓફિસ પાસે ૨૮ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ચાકુના ઘા મારીને હત્યા કરાઈ હતી. હત્યાના પગલે
જયેશ પટેલ બોગસ પાસપોર્ટના સહારે ભારતમાંથી ભાગીને દુબઈ ગયો હતો. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં ૪૦થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે.
તે દુબઈથી ઇંગ્લેન્ડ ગયો હોવાનું મનાતું હતું. આ પછી, ઇંગ્લેન્ડમાંથી ફોન કરીને ખંડણી માગવાનો તેના પર આરોપ છે. આ ફોનના આધારે પોલીસે તેને શોધી કાઢ્યો હતો અને મેટ્રોપોલિટન પોલીસના પ્રત્યર્પણ વિભાગના અધિકારી દ્વારા ભારતીય સત્તાધીશો વતી આંતરરાષ્ટ્રીય ધપકડ વોરંટના આધારે સટનમાંથી ૧૬ માર્ચે જયસુખ મૂળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સત્તાધીશોએ જયેશ પટેલના પ્રત્યાર્પણ માટેની મોકલેલી વિનંતી ઇંગ્લેન્ડને એપ્રિલ ૨૦૧૮માં મળેલી હતી.