લંડનઃ મહાત્મા ગાંધીએ 1930માં મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી હતી. તે સમયે તેમને પહેરાવાયેલા એક હારની હરાજી બુધવારે લંડનમાં યોજાઇ હતી પરંતુ તેનો કોઇ ખરીદદાર મળ્યો નહોતો. લિયોન એન્ડ ટર્નબુલ ઓક્શન હાઉસ દ્વારા ભારતીય અને ઇસ્લામિક કલાકૃતિઓની ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. તેમાં સામેલ કરાયેલી 102 વસ્તુઓની અંદાજિત 20,000થી 30,000 પાઉન્ડ કિંમત નિર્ધારિત કરાઇ હતી.
હરાજીમાં ગાંધીજીને પહેરાવાયેલો હાર સામેલ કરાયો હતો. આ હાર ગુલાબી કાપડ, પૂંઠા, સોનેરી દોરા અને કાગળમાંથી તૈયાર કરાયો હતો. આ હાર મહાત્મા ગાંધીના અંગત ફિઝિશિયન એન કાનુગા પાસે અને ત્યારબાદ તેમના વારસો પાસે હતો. આ સાથે હરાજીમાં એક તસવીર પણ સામેલ તી જેમાં નંદુબેન નામની મહિલા મહાત્માને આ હાર પહેરાવતી દ્રશ્યમાન થાય છે. 12 માર્ચ 1930ના રોજ બંગલા ખાતે દાંડી માર્ચના પ્રારંભ સમયે નંદુબેન કાનુગાએ મહાત્માને આ હાર અર્પણ કર્યો હતો.
જોકે હરાજીમાં મહાત્માના હારનો કોઇ લેવાલ સામે આવ્યો નહોતો. પરંતુ હરાજીમાં સામેલ ભારતીય કલાકૃતિઓ પૈકીની 90 ટકા વેચાઇ ગઇ હતી.


