મહામારી જશે તો પણ વ્હાઈટહોલમાં ઓછાં સિવિલ સર્વન્ટ્સ કામ કરશે

Friday 09th October 2020 06:37 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીનો અંત આવશે તે પછી પણ વ્હાઈટહોલમાં બેસીને કામ કરનારા સિવિલ સર્વન્ટ્સની સંખ્યા ઓછી હશે તેમ કેબિનેટ ઓફિસના પરમેનન્ટ સેક્રેટરી એલેક્સ ચિશોલ્મે જણાવ્યું છે. તેમમે કહ્યું હતું કે મહામારીએ હજારો ઓફિસ સ્ટાફને ઘેર બેસીને કામ કરવાની ફરજ પાડી હતી પરંતુ, તેનાથી ‘કામકાજનું ઘણું કાર્યક્ષમ અને જાળવી શકાય તેવું હાઈબ્રીડ મોડેલ સર્જાયું છે જેમાં કેટલાક લોકો ઓફિસમાં હોય અને અને કેટલાક લોકો ઘેર હોય.’

પરમેનન્ટ સેક્રેટરીએ વ્હાઈટહોલ એસ્ટેટના કદ અને ખર્ચા પર કાપ લગાવવા મથતી કોમન્સની પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ કનસ્ટિટ્યુશનલ એફેર્સ કમિટી (PACAC)ને જણાવ્યું હતું કે અન્ય સ્થળોએથી ડાયલઅપ મીટિંગ્સમાં ભાગ લેનારા લોકો હવે કાયમી સ્વરુપ બની જશે. ચિશોલ્મે કમિટીને જણાવ્યું હતું કે વધુ સ્ટાફ ઓફિસે આવતો થાય તે માટે સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે. જોકે, શક્ય હોય ત્યાં ઘેરથી કામ કરવાની વડા પ્રધાનની સૂચના પછી આ પ્રયાસો અટકાવી દેવાં પડ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના કારણે ડિપાર્ટમેન્ટસ તેમની ૨૦થી ૪૦ ટકા ક્ષમતાથી કાર્યરત છે. પરંતુ, કટોકટી પછી વધુ લોકો નાના બિલ્ડિંગ્સમાં કામ કરી શકશે કારણકે તમામ સ્ટાફ એક જ દિવસે ઓફિસમાં હશે નહિ. લંડનની બહાર રહેતા સ્ટાફને હવે વ્યક્તિગત મીટિંગ્સમાં હાજર રહેવાનું દબાણ રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં સંક્રમણનું જોર ફરી વધ્યું છે ત્યારે લોકો ફરીથી કામકાજના સ્થળે જાય તેવા અભિયાનમાં બોરિસ જ્હોન્સને પીછેહઠ કરવી પડી છે. સપ્ટેમ્બરની શરુઆતમાં સરકારે સિવિલ સર્વિસના વડાઓને તેમનો સ્ટાફ ફરી ઓફિસે પહોંચે તેમ કરવા કહ્યું હતું. મિનિસ્ટર્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં ૮૦ ટકા સિવિલ સર્વન્ટ્સ સપ્તાહમાં ઓછામાં ઓછાં એક દિવસ તેમના નિયમિત કાર્યસ્થળે હાજરી આપે તેવી ઈચ્છા દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter