લંડનઃ સરકારે ઘર ખાલી કરાવવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાં છતાં, ઈંગ્લેન્ડમાં મહામારીના પ્રથમ વર્ષમાં ઓછામાં ઓછાં ૧૩૦,૦૦૦ પરિવાર ઘરવિહોણા બન્યા હોવાનું ડેટા જણાવે છે. આ પ્રતિબંધ થી કેટલાક લોકોને સુરક્ષા મળી હતી પરંતુ, લોકો માટે ડોમેસ્ટિક એબ્યૂઝ અને અસ્થાયી રહેઠાણ ગુમાવવાથી ઘર વિનાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે આ પ્રતિબંધ પૂરો થયો છે ત્યારે મકાન ખાલી કરાવવામાં ઉછાળો આવશે તેવી શંકા સેવાય છે.
શેલ્ટર ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ પોલી નીટના જણાવ્યા મુજબ મહામારી દરમિયાન ઘરવિહોણી હાલત માટે મિત્રો અથવા પરિવાર સાથે રહી ન શકાય, પ્રાઈવેટ ટેનન્સી ગુમાવવી અને ડોમેસ્ટિક એબ્યુઝની સમસ્યાઓ ઉભી થઈ હતી. સરકારના તેમજ ઈંગ્લેન્ડની ૭૦ ટકા લોકલ ઓથોરિટીઝ પાસેથી માહિતી અધિકાર મારફત મેળવાયેલા આંકડાનું વિશ્લેષણ જણાવે છે કે કાઉન્સિલ દ્વારા ૧૩૨,૩૬૨ ઘર-પરિવારને ઘરવિહોણા તરીકે ‘રીલિફ ડ્યૂટી’ને પાત્ર ગણાવાયા હતા. ગત વર્ષની સરખામણીએ ૨૦૨૦-૨૧માં ઘરવિહોણા પરિવારોની સંખ્યામાં થોડો વધારો થયો હતો.
ઈંગ્લેન્ડની કાઉન્સિલ્સ પાસે ૨૦૨૦-૨૧ દરમિયાન ઘરવિહોણાની સહાય માટે ૨૭૪,૦૦૦ વખત સંપર્ક કરાયો હતો જેમાંથી ૧૦૬,૦૦૦ લોકો પર ઘરવિહોણા બનવાનું જોખમ તોળાતું હતું પરંતુ, કાયદેસર ઘર વિનાના બન્યા ન હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં સપોર્ટ માટેના અરજદારોમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ ગાળામાં કોર્નવોલમાં ૪૪ ટકા તથા બાથ અને નોર્થ વેસ્ટ સમરસેટમાં ૬૪ ટકા અરજીઓ વધી હતી. માન્ચેસ્ટર કાઉન્સિલની હાલત સૌથી ગંભીર હતી.
દરમિયાન સરકારી પ્રવક્તાએ આંકડાઓને તદ્દન અટકળ સમાન ગણાવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે મહામારીમાં ભાડૂતોને રક્ષણ આપવાના અને ઘરબાર ગુમાવવાના અને ગમે ત્યાં સૂઈ રહેવાના જોખમ હેઠળના લોકોને સપોર્ટ કરવાના અભૂતપૂર્વ પગલાં લેવાયા હતા. વર્તમાન ‘એવરીવન ઈન’ યોજના હેઠળ ૩૭,૦૦૦ નિરાધાર લોકોને સહાય કરાય છે.