લંડનઃ બ્રિટનમાં ઈન્ટર્નલ વિઝા સિસ્ટમના પ્રસ્તાવની જોગવાઈ હેઠળ માઈગ્રન્ટ્સે દેશના ચોક્કસ વિસ્તારોમાં વસવાટ કરવો પડશે. બ્રિટનમાં આવનારા નવા માઈગ્રન્ટ્સ વસવાટના પાંચ વર્ષ પછી બ્રિટનની સંપૂર્ણ નાગરિકતા માટે અરજી કરવાને લાયક બને નહિ ત્યાં સુધી તેમના માન્ય વિઝામાં દર્શાવેલા વિસ્તારમાં રહેવાની અપેક્ષા રાખવામાં આવશે.
કેનેડિયન સિસ્ટમ પર આધારિત અવરજવરના અંકુશોના લીધે શહેરોના મેયરો અને અન્ય વહીવટી સત્તામંડળો સ્થાનિક અર્થતંત્રો અને જોબ માર્કેટ્સને ધ્યાનમાં લઈ આગવી ઈમિગ્રેશન નીતિઓ ઘડી શકશે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (AAPG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રદેશ કેન્દ્રિત નીતિથી યુકેના જે વિસ્તારોમાં ઈમિગ્રેશનના ઊંચા સ્તરની જરૂર હોય અથવા જે ડિસ્ટ્રિક્ટ્સ મોટી સંખ્યામાં માઈગ્રન્ટ્સને આકર્ષી શકતા ન હોય તે સ્થળોએ વસવા લોકોને મોકલી શકાશે. આ પ્રસ્તાવના લીધે સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના વિસ્તારોને દેશની સરકાર સાથે મળી આગવી નીતિઓ વિકસાવવામાં મદદ મળશે.
રિપોર્ટમાં ઈમિગ્રન્ટ્સના એકીકરણ માટે નવી સરકારી રણનીતિની તરફેણ કરવામાં આવી છે, જેમાં તેમને કામ શોધવામાં મદદ, યુકેના કાયદાઓ, પરંપરાઓ અને સંસ્કૃતિ અંગે જાગૃતિ વધારવી તેમજ બ્રિટન આવતા પહેલા તમામ ઈમિગ્રન્ટ્સ માટે ઈંગ્લિશ ભાષાની સમજ ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે.
AAPGના ચેરમેન અને લેબર સાંસદ ચુકા ઉમન્નાએ કહ્યું હતું કે ઈમિગ્રેશને વિવિધ કોમ્યુનિટીઝ પર વિવિધ પ્રકારે અસર સર્જી છે. સોશિયલ ઈન્ટિગ્રેશન ચેરિટી ધ ચેલેન્જના જોન યેટ્સે સરકારને રિપોર્ટની ભલામણો સ્વીકારવા અનુરોધ કર્યો હતો. નીચા ઈમિગ્રેશન માટે અભિયાન ચલાવતા માઈગ્રેશન વોચ યુકેના વાઈસ પ્રેસિડેન્ટ એલ્પ અહમતે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવનો અમલ અરાજકતા સર્જશે અને માઈગ્રેશન વધારશે.


