માત્ર ૧૩ ટકા લોકો જ કોવિડ-૧૯ નિયંત્રણો બરાબર સમજી શકે છે

Tuesday 10th November 2020 15:33 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ વર્ષથી ઓછી વયના માત્ર પાંચ ટકા અથવા કુલ ૧૩ ટકા લોકો જ કોવિડ-૧૯ના વર્તમાન નિયંત્રણો બરાબર સમજી શકતા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) કોવિડ-૧૯ સોશિયલ સ્ટડી દ્વારા ઓટમ અગાઉ અને રુલ ઓફ સિક્સની જાહેરાત કરાઈ તે પહેલા યુકેમાં ૧૪,૫૦૦ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

સંશોધકોએ લોકોને યુકેના ચાર દેશોમાં કોરોના નિયંત્રણોની સમજણ વિશે પૂછપરછ કરી હતી. જોકે, આ પૂછપરછ ઈંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં ટિયર સિસ્ટમ હેઠળ અલગ અલગ સ્થાનિક નિયંત્રણો લાગુ કરાયા તેમજ વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સર્કિટ બ્રેકર્સના ઉપયોગનો નિર્ણય કરાયો તે અગાઉ કરી હતી. આ પછી, લોકોમાં પોતાને કેવા પ્રકારના નિયમો લાગુ પડે છે તે બાબતે ગૂંચવાડો પ્રવર્તતો રહ્યો છે અને સ્પષ્ટ સંદેશો નહિ આપવા બદલ સરકાર પર દોષારોપણ કરાયું હતું.

ચાર સપ્તાહના સર્વેમાં આખરી પ્રત્યાઘાતો ૧૮ ઓક્ટોબરે લેવાયા હતા. સર્વેના પરિણામો મુજબ ઈંગ્લેન્ડમાં લોકોમાં વધુ ગૂંચવાડો જણાયો હતો જેમાંથી, ૫૧ ટકા લોકો માનતા હતા કે તેમને મોટા ભાગના નિયંત્રણોની સમજ પડી છે. જોકે, સંપૂર્ણ સમજ માત્ર ૧૩ ટકા લોકોને જ હતી. આનાથી વિપરીત, વેલ્સ અને સ્કોટલેન્ડમાં ૧૫ ટકા લોકો નિયમો સંપૂર્ણપણે સમજ્યા હતા. વેલ્સ અને સ્કોટલેન્ડમાં અનુક્રમે આશરે ૬૨ અને ૬૬ ટકા લોકો તેમને મોટા ભાગના નિયંત્રણોની સમજ પડી હોવાનું માનતા હતા.

લોકડાઉનના ગાળામાં યુકેમાં ૯૦ ટકા લોકો તેમને નિયમો બરાબર સમજાયા હોવાનું કહેતા હતા. ઉનાળામાં નિયમો હળવાં કરાયા ત્યારે ૧૦માંથી ૬ લોકોએ પણ આમ જ કહ્યું હતું. જોકે, ચાર દેશોમાં નિયમો બદલાવા લાગ્યા ત્યારે UCL દ્વારા ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ માટે તારણો જાહેર કરાયા હતા. ઈંગ્લેન્ડમાં ચોથી જુલાઈએ પબ્સ, રેસ્ટોરાં અને કાફેઝ માટે નિયમોમાં ફેરફાર આવ્યા પછી તેની સમજ ૪૫ ટકા જેટલી થઈ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter