મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતી બીજી ઓક્ટોબરના રોજ સોશિઅલ ડિસ્ટન્સિંગ સહ કેથેડ્રલ સ્કવેરમાં ઉજવાઇ હતી. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માન્ચેસ્ટરના લોર્ડ મેયર કાઉન્સિલર અબીદ ચોહાન, સાંસદ શ્રી નવેન્દુ મિશ્રા, શ્રીમતી આઇશા કામાની (Boohoo.com), માન્ચેસ્ટર કેથેડ્રલના શ્રી કેનન માર્શીઆ વોલ, રબ્બાઇ વોરેન ઇલ્ફ, માન્ચેસ્ટર ફેઇથ નેટવર્કના ડિરેક્ટર, કાઉન્સિલર્સ અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાસંગિક પ્રવચનમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે ગાંધી એક એવા નેતા હતા જેમણે શાંતિથી સત્યાગ્રહ આદરી પ્રેમ, એકતાનો સંદેશો આપ્યો હતો જે કોવિડ-૧૯માં ખૂબ અગત્યનો છે. એ આપણને પ્રેમાળ બની બધા જ લોકો માટે હ્દયના દ્વાર ખુલ્લા રાખવા આદેશ આપે છે.
બર્મિંગહામના ભારતીય કોન્સુલ જનરલ ડો. શશાંક વિક્રમે જણાવ્યું હતું કે બાપુનો સૌને સમાન દરજ્જો આપવાનો વારસો આજના સમયમાં સુયોગ્ય છે જે જળવાઈ રહેવો જોઇએ.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન, યુકે.ની કોવિડ-૧૯માં કરેલ પ્રવૃત્તિઓની સરાહના કરી. સમાજની સુખાકારી માટે એના સ્વયંસેવકોએ ભગીરથ કામ કર્યું છે. NHS કી વર્કર્સ, બેઘર, નિ:સહાય લોકોમાં ફુડ, નાસ્તાના પેકેટ્સ, ચા-કોફી, PPE સાધનોનું વિતરણ કરવામાં £૫૭,૦૦૦થી વધુ ખર્ચ્યા. હજી પણ પ્રતિ સપ્તાહે નિ;સહાયો અને ઘર વિહોણાને ૨૦૦ ગરમ ભોજન પહોંચાડવાની સેવા આપી રહ્યાં છે. કોવિડ-૧૯ના આવેલ પડકારોને સૌએ સાથે મળી માનવતા જગાવવામાં ગાંધીજીનો સંદેશ પ્રેરણા અને આશા જન્માવે છે.
ગયા વર્ષે બાપુની ૧૫૦મી જન્મ જયંતીએ મહાત્મા ગાંધીની ૯મી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના આધ્યાત્મિક વડા પૂ.ગુરુદેવ શ્રી રાકેશભાઇના હસ્તે થયું હતું. એ પ્રતિમા પ્રોજેક્ટ કામાની પરિવાર તરફથી એમના દાદાશ્રી વિદ્વાન ભાણજી કાનજી કામાનીની પુણ્યસ્મૃતિમાં સ્પોન્સર કરાયો હતો.
ભારતના મહાન નેતા વિશ્વમાં શાંતિદૂત તરીકે બાપુના અનુદાનની સ્મૃતિરૂપે એમના જન્મદિનને આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવાય છે જેનું એક ભારતીય તરીકે આપણને ગૌરવ થાય.
વધુ વિગત માટે સંપર્ક: હીના મહેતા 07583 912 255 or [email protected]