લંડનઃ કોરોના વાઇરસના ચેપની સઘન સારવાર લઈ પહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સેન્ટ્રલ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે ‘મારું જીવન NHS સ્ટાફને આભારી છે.’ વડા પ્રધાનને હવે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને તેઓ સગર્ભા ફીઆન્સી કેરી સાયમન્ડ્સ સાથે બકિંગહામશાયરના નિવાસ ચેકર્સ ખાતે આરામ કરવા ગયા છે. તેઓ હાલ કામ પર ચડે તેવી શક્યતા નથી.
વડા પ્રધાન જ્હોન્સન ધીમે ધીમે સાજા થવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ટુંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું તેમનો પૂરતો આભાર પણ માની શકું તેમ નથી. મારું જીવન તેમનું ઋણી છે.’ જ્હોન્સનને સેન્ટ્રલ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર માટે દાખલ કરાયા હતા. તેમને ત્રણ દિવસ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રખાયા પછી વોર્ડમાં ખસેડાયા હતા.
૧૦ એપ્રિલે ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે વડા પ્રધાન જ્હોન્સને તેમની કાળજી લેનારી NHS ટીમનો અંગત આભાર માન્યો છે. કોરોના વાઇરસની સારવાર પછી હવે તેઓ થોડું ચાલતા થયા છે. સાજા થવાની સારવારના ભાગરૂપે તેમને આરામ પછી થોડું ચાલવા દેવાય છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે ડોક્ટર સાથે વાતચીત કરી હતી અને તેમને અપાયેલી સઘન સારવાર અને કાળજી બદલ સમગ્ર ક્લિનિકલ ટીમનો આભાર માન્યો હતો. તેમનું મન અને વિચારો જે લોકો આ જીવલેણ રોગથી અસર પામ્યા છે તેમની સાથે હોવાનું પણ વડા પ્રધાને જણાવ્યું હતું.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સેન્ટ થોમસ હોસ્પિટલમાં હોસ્પિટલમાં તેમની સારસંભાળ લઈ જીવન બચાવનાર બે NHS નર્સ - ન્યૂ ઝીલેન્ડની જેની મેક્ગી અને પોર્ટુગલના લૂઈ પિટાર્માનો વિશેષ આભાર માન્યો છે. જ્હોન્સન ઈન્ટેન્સિવ કેરમાં કોરોના સામે જંગ ખેલી રહ્યા હતા અને સ્થિતિ ગમે ત્યારે ખરાબ થઈ શકે તેમ હતી ત્યારે આ બે નર્સે સતત ૪૮ કલાક તેમની સંભાળ લીધી હતી.
ન્યૂ ઝીલેન્ડના ઈન્વેરકારગિલની ૩૫ વર્ષીય જેની મેક્ગી થોડા સમયથી લંડનમાં રહે છે અને કામ કરે છે. હાલ તે સેન્ટ થોમસમાં ICU નર્સ છે. તેનો ભાઈ રોબ મેક્ગી તેમજ માતા કેરોલિન અને પિતા માઈક વડા પ્રધાન જ્હોન્સને દર્શાવેલા અંગત આભારથી અભિભૂત થઈ ગયા હતા. જેનીએ બોરિસને જ નહિ અન્ય લોકોને પણ જે સપોર્ટ આપ્યો છે તે માટે તેઓ ગૌરવની લાગણી હોવાનું જણાવ્યું હતું.
બે મહિના આરામ કરવો પડશે
વડા પ્રધાન બોરિસ કદાચ બે મહિના સુધી કામકાજ સંભાળી નહિ શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. નિષ્ણાતો અનુસાર ઈન્ટેન્સિવ કેરમાં ‘નિષ્ક્રિયતાનો ગાળો’ વડા પ્રધાનની શક્તિ–તાકાત ઘટાડી દેનારો રહેશે. કોરોનાની ક્રિટિકલ સારવાર પછી ડિસ્ચાર્જ કરાયેલા પેશન્ટ્સ પણ હજુ આરામમાં જ છે. વડા પ્રધાનની આવી ‘નિષ્ક્રિયતા’ના પરિણામે દેશના વહીવટનું સુકાન લાંબો સમય ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ હસ્તક રહે તેવી સંભાવના છે.
બોરિસ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તો પણ એકથી બે મહિના સુધી તેમના કામકાજથી અળગા રહેવું પડે તેવી શક્યતા નિષ્ણાતોએ દર્શાવી છે. ઈન્ટેન્સિવ કેરમાં લાંબો સમય નિષ્ક્રિય રહેવાના પરિણામે તેમના સ્નાયુજથ્થા અને તાકાતને ભારે નુકસાન રહેશે. તેમણે કહ્યું હતું કે વાઈરસ સામે લડવાના કારણે જ્હોન્સન તેમની શારીરિક તાકાત ગુમાવશે. યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જલિઆ ખાતે ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસર પોલ હન્ટરે કહ્યું હતું કે, ‘જો બીમારી ઈન્ટેન્સિવ કેરમાં જવા જેવી હોય અને તમે બચી જાવ તો પણ તમારે સંપૂર્ણ સાજા થવા થોડોક સમય જોઈએ. જે લોકો આટલા બીમાર હોય તેમને ફરીથી કાર્યરત થવામાં એકથી બે બે મહિના લાગી શકે છે.’
ક્વીને પણ બોરિસને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે તેમજ તેમના પરિવાર અને સગર્ભા ફીઆન્સી કેરી સિમોન્ડ્સને પણ અંગત સંદેશ પાઠવ્યો હતો. વરિષ્ઠ ટોરી નેતાઓ પણ જ્હોન્સન સાજા થઈ ઝડપથી કામે વળગે તે બાબતે શંકા ધરાવે છે. વડા પ્રધાને કોરોનાના લક્ષણો સાથે એકાંતવાસમાં ગયા પછી પણ વહીવટ સંભાળ્યો હતો. બીજી તરફ, કોરોના ચેપગ્રસ્તો સઘન સારવાર પછી ડિસ્ચાર્જ કરાયા છે તેઓ પણ સાજા થવાનો માર્ગ કેટલો કઠિન છે તેના અનુભવો જણાવે છે. તેમના જણાવ્યા અનુસાર જે સંવેદનાત્મક આઘાત પહોંચે છે તેમજ સ્નેહીજનોને ચેપ લગાડવાના ભયમાંથી બહાર આવતા સમય લાગે છે.