લંડનઃ ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે લીલી ઝંડી આપી ત્યાર બાદ માલ્યાની કાનૂની ટીમે જણાવ્યું હતું કે માલ્યાનો કોર્ટના પ્રત્યાર્પણ આદેશ સામે અપીલ કરવાનો ઈરાદો છે.
માલ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને આગળ પગલા ભરાશે. હવે તેણે કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યો છે અને તે ચુકાદા સામે યોગ્ય સમયે અપીલ કરવાની પરવાનગી માગશે. પ્રત્યાર્પણના નિયમો મુજબ બ્રિટનની કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણના આદેશ હોમ સેક્રેટરી સાજીદ જાવિદને મોકલી આપ્યા હતા. તેઓ બે માસના ગાળામાં આદેશ કરી શકે છે પરંતુ, માલ્યાને ચુકાદા સામે અપીલ કરવાની પરવાનગી લેવા ૧૪ દિવસની મહેતલ મળે છે. દરમિયાન માલ્યા જામીન પર ઉપર રહેશે. માલ્યાને અપીલ કરવાની મંજૂરી મળે ત્યાર બાદ તે યુકે હાઈકોર્ટમાં અરજી કરી શકશે.